રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ આણંદવાસીઓને નવા વર્ષમાં અંદાજે 173.76 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રીએ સભાને સંબોધી હતી. જેમાં તેમણે યોજના, કોવેક્સિન અને 50 લાખની લાંચ કેસ અંગે નિવેદન આપ્યું હતું.
આણંદમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં CM રૂપાણીનું નિવેદન
કોવેક્સિન મામલે વિરોધ પક્ષોએ વિરોધ પક્ષનું પણ સ્થાન ગુમાવ્યુંઃCM
આણંદ જિલ્લાના વિકાસ માટે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આણંદના ધીરજલાલ ટાઉનહોલમાં 173.76 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. ઉત્તર અને દક્ષિણ ઉમરેઠ જૂથ પાણીપુરવઠા, ખંભાત અને આંકલાવ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાત મુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટને લઇને દક્ષિણ ઉમરેઠ શહેર સહિત 64 ગામોને પીવાના પાણીનો લાભ થશે. ઉત્તર ઉમરેઠ જૂથ પાણી પુરવઠાથી 45 ગામોને ફાયદો થશે.
સરકારે લાખો અને કરોડો લોકોને ઘરનું ઘર મળે તેવી વ્યવસ્થા કરીઃ CM રૂપાણી
આણંદમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતા કહ્યું કે, મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો અને કરોડો લોકોને ઘરનું ઘર મળે તેવી વ્યવસ્થા કરી. દરેકના ઘરમાં ગેસનો બાટલો પહોંચાડવાનું કામ પુરુ થવા આવ્યુ છે. રાજ્યમાં દરેક ઘરે પાણી, વીજળી, શૌચાલય અને ગેસ પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડી છે. અગાઉ 26 લાખ લોકોને શુધ્ધ પાણી મળતું હતુ એટલે કે રાજ્યનાં 74% લોકોને પાણી મળતું ન હતુ.
ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર નાબુદી માટે ACBને છૂટો દોર આપ્યોઃ CM રૂપાણી
50 લાખની લાંચ કેસ મુદ્દે CM રૂપાણીએ ACBને અભિનંદન પાઠવ્યા છે. CMએ કહ્યું કે, લાંચ કેસમાં કોઈ પણ ચમરબંધી હશે તેને છોડાશે નહીં. ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર નાબુદી માટે ACBને છૂટો દોર આપ્યો છે. CBIની જેમ ACBને મંગેલા અધિકારીઓ વકીલો આપ્યા છે. ACB જોઈએ તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે. ભ્રષ્ટાચાર મામલે સરકાર કટિબદ્ધ છે.
મહામારીમાં વેકસીન મુદ્દે રાજકારણ ન કરેઃ CM રૂપાણી
2 કોરોના વેક્સિનને ભારત સરકારે મંજૂરી આપી છે. ત્યારે આ વેક્સિન પર રાજકારણ શરૂ થઇ ગયું છે. તેવામાં આ મામલે CM રૂપાણીએ કહ્યું કે, કોવેક્સિન મામલે વિરોધ પક્ષોએ વિરોધ પક્ષનું પણ સ્થાન ગુમાવ્યું છે. મહામારીમાં વેકસીન મુદ્દે રાજકારણ ન કરે.
કોરોના વેક્સિનની મંજૂરી પર CM રૂપાણીનું નિવેદન
આ અગાઉ CMએ કહ્યું હતું કે, DCGIએ 2 વેક્સિનને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ વેક્સિનેશન શરૂ કરીશું. 4 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. તમામ સર્વે પૂર્ણ, ચાર તબક્કાના લીસ્ટ પણ તૈયાર છે. વેક્સિન આવ્યા બાદ તાત્કાલિક વેક્સિનેશન શરૂ થશે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ડોક્ટર અને નર્સને વેક્સિન અપાશે. બીજા તબક્કામાં કોરોનાકાળમાં કામ કરનાર કર્મીઓને વેક્સિન અપાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને વેક્સિન અપાશે. ચોથા તબક્કામાં ગંભીર બિમારીવાળા 50 વર્ષથી ઓછી ઉમરવાળા વેક્સિન અપાશે.