ગુજરાત હાઇકોર્ટે આજે કોરોના વાયરસ મુદ્દે રાજ્ય સરકારને ફરી તતડાવી છે ત્યારે સીએમ રૂપાણીએ જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
હાઈકોર્ટની ઝાટકણી બાદ ફરી રાજ્ય સરકાર એક્શનમાં
CM રૂપાણીએ વીડિયો કોન્ફ્રેંસથી ચર્ચા કરી
ટેસ્ટીંગ પ્રક્રિયા માટેના આગામી આયોજન માટે અપાયુ માર્ગદર્શન
ગુજરાત હાઇકોર્ટમાં આજે થઈ હતી સુનાવણી
ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે ફરીથી રાજ્ય સરકારને તતડાવી છે અને કોરોના ટેસ્ટ, કોરોના વાયરસની ગાઈડલાઇન, રેમડેસિવિર ઈંજકેશન મુદ્દે સરકારને અનેક સૂચનો કર્યા છે ત્યારે રાજ્ય સરકાર હવે હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.
સીએમ રૂપાણી એક્શનમાં આવ્યા
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે કોવિડ કેસ સેન્ટર તથા હોસ્પિટલોમાં ખૂટતા બેડને લઈને સરકારને સૂચન કર્યા છે તથા સરકારને પૂછવામાં આવ્યું હતું કે રાજ્યના બધા જિલ્લાઓમાં RTPCR ટેસ્ટ માટે લેબોરેટરી છે કે નહીં? આમ હાઇકોર્ટ દ્વારા વેધક સવાલો પૂછાતા હવે રાજ્ય સરકાર અને સીએમ રૂપાણી એક્શનમાં આવ્યા છે અને વિવિધ જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લાઓના કમિશનર અને કલેકટર સાથે બેઠક
સીએમ રૂપાણીએ આજે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી વિવિધ જિલ્લાઓના રિજનલ કમિશનર, પાલિકા ચીફ ઓફિસર, કલેકટર અને કમિશનરો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સીએમ રૂપાણીએ RT-PCR ટેસ્ટ અંગે વ્યવસ્થા ઉભી કરવા અંગે ચર્ચા કરી અને આગામી યોજના માટે માર્ગદર્શન આપ્યું હતું.
રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી : કમલ ત્રિવેદી
ગુજરાત હાઈકોર્ટેમાં આજે ફરી સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અનેક મામલે સરકાર પાસેથી જવાબ લીધા હતા. તો રેમડેસિવિર ઈન્જેક્શનની અછત મામલે સરકારના વકીલ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. AG કમલ ત્રિવેદીએ કહ્યું, રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી. ફૂડ અને ડ્રગ્સ વિભાગનો પણ તેના પર કંટ્રોલ નથી.
આ સાથે કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, નાના બાળકો, ગરીબ વર્ગો માટે સરકારે કોવિડ સેન્ટરો બનાવ્યા છે. અને હોસ્પિટલ બહાર જે રીતે એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી રહીને રાહ જુએ છે. તે મામલે SOP બહાર પડાશે. અને દર્દીને કઈ હોસ્પિટલમાં દાખલ કરવાના છે તેની સ્પષ્ટતા પહેલા કરાશે. તેવી વાત પણ સરકારના વકીલ કમલ ત્રિવેદીએ કરી હતી.
હાઇકોર્ટમાં થઈ સુનાવણી
હાઈકોર્ટે ગુજરાત સરકારને સણસણતો સવાલ પૂછ્યો હતો કે, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે? અને લાઇનો કેમ લાગે છે? દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે. કોઇ દર્દીને હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ન ઉભુ રહેવુ પડે તેવી વ્યવસ્થા કરો. આ મુદે AGએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાની કેન્દ્રિય વ્યવસ્થા છે. મોટેભાગે આ વ્યવસ્થા મહાપાલિકા સંભાળે છે. કલાકો સુધી દર્દીઓને રાહ જોવી પડે એવી સ્થિતિ નથી. એમ્બ્યુલન્સમાં દર્દી બેસે ત્યારે ઘણીવાર નક્કી નથી હોતું કે કઈ હોસ્પિટલમાં જવું. એમ્બ્યુલન્સ ખુદ હોસ્પિટલમાં તપાસ કરે છે અને કયાંય જગ્યા નથી મળતી એટલે સિવિલમાં આવે છે.