વિધાનસભા ગૃહમાં પાક વીમાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. બંને પક્ષોએ પાકવીમા મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેનો જવાબ સીએમ રૂપાણીએ આપ્યો હતો.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પાક વીમા બાબતે સરકાર પર આક્ષેપ કર્યા હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો.
જેમાં તેમણે ગુજરાતમાં પાક વીમા પેટે ૨ હજાર ૬૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી હોવાની વાત કરી હતી. તેમજ પાક વીમાની રકમનો સીધો જ લાભ વીમા કંપનીના બદલે ખેડૂતોને મળે તે માટે કોપર્સ ફંડ ઉભુ કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. જેનાથી સમયસર ખેડૂતોને પાક વીમા પેટે તેમના નુકસાનની રકમ આપી શકાય. તો મગફળી માટે રૂપિયા ૧ હજાર ૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ છે તેમ CM રૂપાણીએ જણાવ્યું હતું.
પાક વીમા મામલે કોંગ્રેસના પ્રશ્ન પર સીએમ રૂપાણીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. વરસાદ સારો પડશે તો પ્રીમિયમ ચૂકવ્યું હશે તો પણ કોઈ ચૂકવણી નહીં થાય. જો વરસાદ સારો નહીં પડે તો 12 હજાર કરોડની ચૂકવણી કંપનીઓએ કરવાની રહેશે. કેન્દ્ર સરકારમાં ફંડ માટે રજૂઆત કરવામાં આવી છે. જો ફંડ ઉપલબ્ધ થશે તો સીધી ચૂકવણી થઈ શકશે. અને આ મામલે હાલ વિચારણા ચાલી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં પ્રથમવાર આટલો મોટો વીમો ચૂકવવામાં આવ્યો છે.