રાજ્યમાં ખેડૂતોને પહેલા પાછોતરા ચોમાસાએ પછી ક્યાર નામના વાવાઝોડાએ અને હવે ચક્રવાત મહા એ રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોનો ઉભો પાક લીલા દુકાળનો ભોગ બન્યો છે એટલુ જ નહીં પરંતુ તૈયાર પાક પણ પલળી જતા તેનો કોઈ લેવાલ રહ્યો નથી. અને હજુ તો આવનારા પાકને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને હૈયાધારણ આપી છે કે પાક વીમો તો ચુકવાશે જ પણ જે ખેડૂતોએ વીમો નહી લીધો હોય તેમને પણ વળતર ચુકવવામાં આવશે.
ખેડૂતોને જે નુકસાન થયુ તેનુ યોગ્ય વળતર મળશે
અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું વળતર ચૂકવાશે
વીમો ન લીધેલા ખેડૂતોને કેન્દ્રના ધોરણે વળતર ચૂકવાશે
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. વીમો ન લીધેલા ખેડૂતોને કેન્દ્રના ધોરણો પ્રમાણે વળતર ચૂકવાશે.
ટોલ ફ્રી નંબરનું બ્લન્ડર મુદ્દે પણ નિવેડો લાવશુ
મોરબીમાં એક કાર્યક્રમમાં CM રુપાણીએ આ જાહેરાત કરી હતી. તેમણે પાક વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબરના બ્લન્ડર વિશે પણ ખેડૂતોને હૈયાધારણ આપતા જણાવ્યું હતુ કે, જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ ચિંતા કરવાની જરૂર નથી કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ દરેક ખેડૂતને નુકસાનીનું યોગ્ય વળતર ચુકવવામાં આવશે.
હાલ ટેકાના ભાવની ખરીદી પર રોક
કમોસમી વરસાદને કારણે તૈયાર મગફળીની ટેકાના ભાવની ખરીદી પણ હાલ 15મી નવેમ્બર 2019 સુધી મોકુફ રાખવામાં આવી છે.