રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે આજે સીએમ રૂપાણીએ રાજ્યજોગ સંબોધન કર્યું હતું જેમાં બે હાથ જોડીને લોકોને નિયમ પાલન માટે અપીલ કરી હતી.
કોરોના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન
મહામારીને કારણે ઘણા લોકોએ ઘણુ ગુમાવ્યુ: CM
મેડિકલ સ્ટાફમાં ઘણાએ સેવા કરતા કરતા જીવ ગુમાવ્યા: CM
કોરોનાની બીજી વેવમાં ખૂબ ઝડપથી સ્થિતિ વકરી: CM
કોરોના વાયરસના કેસમાં અચાનક ઉછાળો
સંબોધનની શરૂઆતમાં સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના કેસમાં થતાં વધારાએ ચિંતામાં વધારો કર્યો છે, મહામારીના કારણે ઘણા લોકોએ પોતાનું ઘણું બધુ ગુમાવ્યું છે. લોકોને પોતાના સ્વજન ગુમાવ્યા છે તથા મેડિકલ સ્ટાફના લોકોએ પણ સેવા કરતાં કરતાં પોતાના જીવ ગુમાવ્યા છે. થોડા દિવસ સ્થિતિ એકદમ અલગ હતી, લગભગ આપણે કોરોના સામે જીતી ગયા હોય તેવી પરિસ્થિતિ હતી પરંતુ અચાનક કેસ વધી ગયા અને સંક્રમણ ઝડપથી ફેલાયું.
એક મહિનામાં આટલું કામ કર્યું હોવાનો દાવો
સીએમ રૂપાણીએ દાવો કર્યો કે એક જ મહિનામાં આજે 94 હજાર બેડ ઊભા કર્યા છે, ઑક્સીજનનો સપ્લાય પણ વધ્યો છે. એક જ મહિનામાં પાંચ લાખથી વધારે રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે. જોકે ગુજરાતમાં ઘણી બધી જગ્યાઑ પર ક્યાંક બેડ તો ક્યાંક ઑક્સીજન અને દવા માટે તકલીફ દેખાઈ રહી છે, પરંતુ ગભરાવવાની જરૂર નથી, આપણે પરિશ્રમની પરાકાષ્ઠા પર જઈને કોરોના સામે લડીશું.
આજે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા પ્રતિબંધો
નોંધનીય છે કે ગુજરાતમાં 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂની સાથે સાથે દિવસમાં પણ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ તથા લોકો ભેગા ન થાય તે માટે કેટલાય સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે સીએમ રૂપાણીએ તે મુદ્દે પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની સાથે સાથે દિવસ માટે પણ માર્કેટ, મોલ, દુકાન, જીમ-પૂલ, બાગ-બગીચા, બધુ બંધ કર્યું છે.
હાથ જોડીને સીએમ રૂપાણીની અપીલ
સીએમ રૂપાણીએ આ 29 શહેરોના લોકોને હાથ જોડીને કહ્યું કે શહેરોના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બિનજરૂરી બહાર ન નીકળે. આપણે સ્વયંશિસ્ત રાખીને કોરોના સામે લડીએ.
ગામડાઓ માટે સીએમ રૂપાણીએ આપી ફોર્મ્યુલા
આ સિવાય ગામડાઓમાં ફેલાતા કોરોના સંક્રમણ મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે આ વખતે ગામડાઓમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ગામડાના મુખિયાઓ ભેગા થાય અને આસપાસના ડૉક્ટરને બોલાવીને ચેક કરે કે કોને કોને શું બીમારી છે, શરદી છે ખાંસી અથવા કળતર છે. જેટલા લોકોને કોરોના હોય તે બધાને અલગ કરીએ, બધાને આઇસોલેટ કરીએ જેથી કોરોના વાયરસથી બચી શકાય. કારણ કે ગામડામાં જ્યારે કોઈ એકને કોરોના હોય તો પહેલા ખબર પડતી નથી બાદમાં ખબર પડે એટલે તે હોસ્પિટલમાં દોડે અને તકલીફ પડે છે.
લોકોને જાતે જ નિયમ પાલન કરવા અપીલ
સીએમ રૂપાણીએ કહ્યું કે મને યાદ છે કે શહેરોમાં લોકો એક દૂધની થેલી લઈને આખા ગામમાં આંટો મારી આવે છે, પરંતુ કોરોના વાયરસની ગંભીરતાને સમજો અને સ્વયં-શિસ્તનું કરીને કોરોના સામે લડીએ.