રખડતાં ઢોર નિયંત્રણ કાયદામાં ફેરબદલની આધિકારિક જાહેરાત થઈ શકે છે. રખડતાં ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે ગુજરાતભરમાં માલધારી સમાજ રસ્તા પર ઉતરી ગયો છે.સરકાર સમક્ષ વિરોધ કરી કાયદાને રદ્દ કરવાની માગણી કરી રહ્યો છે. ત્યારે આ મામલે માલધારી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક મળશે. સીએમના નિવાસસ્થાને આ બેઠક યોજાશે જેમાં માલધારી સમાજ દ્વારા કાયદો રદ કરવાની માગણી કરવામાં આવશે. મહત્વનું છે કે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બેઠકમાં શું કરાશે ચર્ચા ?
બેઠકમાં માલધારી સમાજ દ્વારા કાયદો પરત ખેંચવા કે જરુરી સુધારા કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. કાયદાની જોગવાઇમાં પણ સુધારો કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે સરકાર કાયદો પાછો ખેંચવાના તરફેણમાં નથી. જો કે બેઠક બાદ જ કાયદા અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે. મહત્વનું છે કે માલધારી સમાજે જિલ્લા કક્ષાએ વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યા હતા.
સી.આર પાટીલ સાથે કરી હતી બેઠક
મહત્વનું છે કે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. ત્યારબાદ માલધારી સમાજના આગેવાનોએ સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી. માલધારી સમાજના આગેવાનો CM ભૂપેન્દ્ર પટેલ સાથે આજે બેઠક હતી.
સી.આર.પાટીલે શું આપી ખાતરી ?
ગત રોજ આપેલ નિવેદનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, કાયદા અંગે ફરીથી વિચાર કરીશું. માલધારી સમાજની રજૂઆતો સાંભળી છે. આવનારા સત્રમાં કાયદો પરત લેવાશે. માલધારી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરશે.
ઢોર નિયંત્રણ બિલમાં શું છે જોગવાઇ
શુક્રવારે વિધાનસભામાં 6થી 7 કલાકની ચર્ચા બાદ બિલ થયું પાસ
લાંબી ચર્ચા બાદ દંડની રકમમાં કરવામાં આવ્યો ઘટાડો
અગાઉ બિલમાં 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની હતી જોગવાઈ
ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર રૂપિયા કરવામાં આવી
શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે