ચૂંટણી પંચે હેમંત સોરેન સામે રાજ્યપાલને વિધાનસભાની સદસ્યતા રદ કરવાની સલાહ આપી છે પણ રાજ્યપાલ રમેશ બૈસે હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય લીધો નથી
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર
રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન આજે આપી શકે છે રાજીનામું
રાજીનામાં બાદ હેમંત સોરેન ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન રાજીનામું આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હેમંત સોરેન વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી શકે છે. તેમણે આજે સાંજે 4 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠક બાદ તેઓ રાજીનામું આપી શકે છે. ત્યારબાદ હેમંત સોરેન ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
શું છે સમગ્ર મામલો ?
તાજેતરમાં ચૂંટણી પંચે હેમંત સોરેન સામે રાજ્યપાલને તેની ભલામણ મોકલી હતી. જેમાં સોરેનની વિધાનસભાની સદસ્યતા રદ કરવાની સલાહ આપવામાં આવી હતી. જો કે રાજ્યપાલ રમેશ બૈસે હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય લીધો નથી. જોકે હવે ઓફિસ ઓફ પ્રોફિટ કેસને ધ્યાનમાં રાખીને હેમંત સોરેને આ નવો દાવ લીધો છે. તેઓ રાજ્યપાલ રમેશ બૈસને મળીને ફરી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. નવી સરકાર બનાવવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે.
ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ
હેમંત સોરેનની વિધાનસભા પરના સંકટ વચ્ચે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. હેમંત સોરેનની આગેવાની હેઠળના સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યોને છત્તીસગઢના રાયપુરના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. સોરેન સરકારે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધારાસભ્યોને હોર્સ-ટ્રેડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
મહત્વનું છે કે, ભાજપે રાજ્યપાલને ફરિયાદ મોકલી હતી. જેમાં મુખ્યપ્રધાન હેમંત સોરેન પર પોતાને માઈનિંગ લીઝ આપીને ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાજપે માંગણી કરી હતી કે, હેમંત સોરેનની ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં વિધાનસભાની સદસ્યતા રદ કરવી જોઈએ. તેના પર રાજ્યપાલે ચૂંટણી પંચ પાસેથી ભલામણ માંગી હતી. બંધારણના અનુચ્છેદ 192 હેઠળ સભ્યને ગેરલાયક ઠેરવવાના મામલામાં અંતિમ નિર્ણય રાજ્યપાલનો છે. જોકે આવી કોઈપણ બાબતમાં કોઈ નિર્ણય આપતા પહેલા રાજ્યપાલ ચૂંટણી પંચનો અભિપ્રાય લેવો પડે છે અને તે મુજબ નિર્ણય લેવાનો હોય છે.