લાંબા સમયથી બીમાર રહેલા ગોવાના મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા મનોહર પર્રિકરને દિલ્હીથી ગોવા લઇ જવામાં આવ્યા હોવાના સમાચાર તાજેતરમાં પ્રાપ્ત થયાં છે. તેમની હાલત ખુબ જ ગંભીર હોવાની પણ માહિતી મળી છે. ગોવાના મુખ્યમંત્રી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયગાળાથી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
જો કે આજે સવારે તેમની તબિયત વધુ બગડી હતી અને તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. થોડા સમયગાળા બાદ પર્રિકરને એર એમ્બ્યુલન્સ દ્વારા ગોવા લઇ જવામાં આવ્યા છે. આ સાથે જ તેમની સ્થિતિ ખુબ જ નાજૂક હોવાની પણ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.
મનોહર પર્રિકરને છેલ્લા એક મહિનાથી દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકામાં તેમને સારવાર અર્થે 15 સપ્ટેમ્બર લઇ જવામાં આવ્યા હતા. તેમની ગેરહાજરીમાં ગોવાના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો કારણ કે તેમણે પક્ષના વડા અમિત શાહને ફોન કરીને મુખ્યપ્રધાન પદ છોડવાની વાત કરી હતી.
જો કે આ મામલે વિવાદ પણ ઉભો થયો હતો અંતે ભારતીય જનતા પાર્ટીના વડા અમિત શાહે રાજ્યમાં મુખ્યમંત્રી પદે મનોહર પર્રિકર યથાવત રહેશે તેવી વાત કરતા મામલો થાળે પડ્યો હતો.
આપને જણાવી દઇએ કે મનોહર પર્રિકર ભારત સરકારમાં રક્ષામંત્રી પદ શોભાવી ચૂક્યા છે આ સાથે ગોવાના મુખ્યપ્રધાન પદે હાલ તેઓ સત્તારૂઢ છે. આ સાથે તેમનો ચાહક વર્ગ પણ બહોળો છે અને ગોવાની જનતાના હ્રદયમાં તેઓ ખાસ સ્થાન ધરાવે છે.