રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ રાજધાની રાયપુર આવીને છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલે તેમના રાજીનામા અંગે ખુલાસો કર્યો છે.
છત્તીસગઢ કોંગ્રેસમાં ઉકળતો ચરુ
રાજીનામાને લઈને CM ભુપેશ બઘેલે કર્યો મોટો ખુલાસો
હાઈકમાન્ડ કહેશે તો રાજીનામું આપી દઈશ
સીએમ ભુપેશ બઘેલે કહ્યું કે જ્યાં રાહુલ ગાંધીના મારા પર આશીર્વાદ છે ત્યાં સુધી મુખ્યમંત્રી પદે ચાલુ રહીશ પરંતુ હાઈકમાન્ડ આદેશ આપે તો રાજીનામું આપવા પણ તૈયાર છું. બઘેલે અઢી વર્ષની સીએમ ફોર્મ્યુલા પણ નકારી કાઢી હતી.
બઘેલે કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશ પર તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જ્યાં સુધી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો આદેશ હશે ત્યાં સુધી હોદ્દા પર ચાલુ રહીશ. જ્યારે તેઓ કહેશે ત્યારે મુખ્યમંત્રીનો હોદ્દો છોડી દઈશ.
અઢી વર્ષ સુધી મુખ્યમંત્રીની ફોર્મ્યુલા વિશે કર્યો આ ખુલાસો
જ્યારે અઢી વર્ષ સુધી મુખ્યમંત્રીની ફોર્મ્યુલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જેઓ આ રાગ જાપ કરી રહ્યા છે તેઓ રાજકીય અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.બઘેલ રાયપુર પહોંચે તે પહેલા જ એરપોર્ટ પર તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેઓ ત્યાં બઘેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
પંજાબ કોંગ્રેસના સાત નેતાઓએ પ્રદેશ પ્રભારી હરીશ રાવતને દહેરાદૂન મળીને કેપ્ટનની ફરિયાદ કરી હતી. પરંતુ રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજ્યમાં મુખ્યમંત્રી પદે કોઈ ફેરફાર થશે નહીં. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી અમરિન્દર સિંહના નેતૃત્વમાં લડવામાં આવશે. બીજી તરફ કેપ્ટન અમરિન્દર સિંહની પત્ની પરનીત કૌરે નવજોત સિંહ સિદ્ધુની સામે બળવો પોકારી કહ્યું હતું કે, પંજાબમાં સીએમ બદલવામાં આવશે નહીં. પંજાબમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તેના માટે સિદ્ધૂ જવાબદાર છે.
કેપ્ટન અમરિન્દર સિંહની પત્ની અને લોકસભા સાંસદ પરનીત કૌરે પંજાબમાં ચાલતા રાજકીય ઘમાસાણને લઈને પાર્ટી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લાં સાડા ચાર વર્ષથી પંજાબ કોંગ્રેસમાં બધુ યોગ્ય ચાલતુ હતું. પરંતુ છેલ્લાં બે મહિનાથી એવુ શું થયુ કે કેપ્ટન અમરિન્દર સિંહને લઈ સવાલ ઉભા થવા લાગ્યાં. પરનીત કૌરે કહ્યું કે, અત્યારે જે કંઈ કોંગ્રેસમાં થઈ રહ્યું છે તેની પાછળ સિદ્ધૂ જવાબદાર છે. સિદ્ધૂ પોતાના એડવાઈઝરો પર અંકુશ રાખી રહ્યાં નથી. તેમણે કહ્યું કે, કોઈના કહેવાથી પંજાબમાં મુખ્યમંત્રીમાં ફેરફાર કરાશે નહીં. સીએમ કોને બનાવવા તે કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે.