CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાણકારી આપતા કહ્યું છે કે આજે શનિવારના રોજ 100 વિદ્યાર્થી યૂક્રેનથી પરત આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
આજે શનિવારે 100 વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવશે
ઉચ્ચ અધિકારીઓ અને નોડલ અધિકારીઓને જવાબદારી સોંપાઇ
યુક્રેન અને રશિયા વચ્ચે હાલ ભીષણ જંગ ચાલી રહ્યો છે.યુક્રેનની રાજધાની કીવ પર ગમે તે સમયે રશિયન સેના કબજો કરી શકે છે.યુક્રેનના રાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી છે અને અન્ય દેશો પાસે સહયોગ માગ્યો છે.ત્યારે ભારત માટે યુક્રેનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈ ચિંતા વધી છે.ત્યારે યુક્રેનમાં ફસાયેલા દેશવાસીઓને સ્વદેશ પરત લાવવા માટે મોદી સરકાર એક મોટું ઓપરેશન ચલાવવા જઈ રહી છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે આજે શનિવારના રોજ 100 વિદ્યાર્થી યૂક્રેનથી પરત આવશે.
યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય યુવા વિદ્યાર્થીઓમાં ગુજરાતના 100 જેટલા યુવાન વિદ્યાર્થીઓને ખાસ વિમાન દ્વારા હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો હ્રદયપૂર્વક આભાર માનતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ.
ગુજરાત સરકારે અધિકારીઑને સોંપી જવાબદારી
કેન્દ્ર સરકારે યુક્રેનમાંથી વિદ્યાર્થીઑને પરત લાવવા એરલીફ્ટની વૈકલ્પિક યોજના બનાવી છે. ત્યારે ગુજરાતના વાલીઓ માટે મહત્વના સમાચાર એ છે કે આજે શનિવારે પ્રથમ ફ્લાઇટમાં ગુજરાતના 100 વિદ્યાર્થી પરત ફરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અને નોડલ અધિકારીઓને જવાબદારી સોંપાઇ હોવાની માહિતી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. દિલ્લીથી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રેસિડેન્ટ કમિશનરને જવાબદારી સોંપાઇ છે. મુંબઇથી આવતા વિદ્યાર્થીઓ માટે જીયોલોજી અને માઇનિંગ વિભાગને જવાબદારી સોંપાઇ છે. સીએમની આ જાહેરાતથી વાલીઓના માથેથી ચિંતાના વાદળ ઓછા થયા છે.
આવતીકાલે ભારત પહોંચનારા આ વિદ્યાર્થીઓને ગુજરાતમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનરશ્રી તેમજ મુંબઈ આવતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરશ્રીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારે શોધી કાઢ્યો વૈકલ્પિક રુટ
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થી સહિતના ભારતીય નાગરીકોને વૈકલ્પિક રૂટથી પરત લાવવા કેન્દ્ર સરકારે યોજના બનાવી છે, જેમાં હંગેરી, પોલેન્ડ, સ્લોવાકીયા, રોમાનિયાના રૂટથી ભારતીયોને પરત લાવવામાં આવશે. એવામાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પોતાને પડી રહેલી મુશ્કેલીને વીડિયોના મારફતે જણાવી રહ્યા છે જેમાં યુનિવર્સિટી દ્વારા તત્કાલ નિર્ણય ન લેવામાં આવતાં વિદ્યાર્થીઓને યુક્રેનમાં ફસાવવાનો વારો આવ્યો છે. આજે રાત્રે ભારતથી 2 ફ્લાઇટ રોમાનિયા જશે ત્યાંથી ફસાયેલા વિદ્યાથીઑને એરલીફ્ટ કરવામાં આવશે.
વિદ્યાર્થીઑને પરત લાવવા મુદ્દે રાજકારણ પણ ગરમાયું
વિદ્યાર્થીઓને પરત લાવવા મામલે રાજકારણ ગરમાયું છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વાલીઓને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે વતન પરત ફરશે તેવું આશ્વાસન આપ્યું છે.સાથે જ તેમણે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે.તો બીજી તરફ કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.શક્તિસિંહે કહ્યું કે, અગાઉ કોંગ્રેસે વૈકલ્પિલ રૂટથી ભારતીયોને પરત લાવવા માગ ઉઠાવી હતી.અને કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી પરંતુ કેન્દ્ર સરકાર ચૂંટણીઓમાં વ્યસ્ત રહી.તો યુક્રેનમાં ઈન્ડિયન એમ્બેસીએ પણ ભારતીયોને ભગવાને ભરોસે છોડી દીધા હતા.