અમરેલી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ટિફીન બેઠક અને વિરારામ બાપાના આશ્રમની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીની અમરેલી મુલાકાત
વિરારામ બાપાના આશ્રમમાં મુખ્યમંત્રીનું સ્વાગત
ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ટિફીન બેઠકમાં આપી હાજર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ વિરારામ બાપાના આશ્રમની મુલાકાત લીધી હતી. વધુમાં અમરેલી ભાજપ આયોજિત ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલી ટિફિન બેઠકમાં હાજરી આપી હતી. આ તકે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.
ટિફીન બેઠકને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ
અમરેલી ભાજપ દ્વારા શહેરના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ટિફીન બેઠક યોજાઇ હતી.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપી હતી. મહત્વનું છે કે ચૂંટણી અગાઉ CM સાથે ટિફીન બેઠકને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ અગ્રણીઑ અને કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપ્યું હતું. ત્યારબાદ ભુપેન્દ્ર પટેલ વિરારામ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.વિરારામ બાપાના આશ્રમની મુલાકાત વેળાએ CM ભુપેન્દ્ર પટેલનું આશ્રમના મહંત દીપાભગત દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાજપ સંગઠન પ્રભારી ભરત બોધરા સહીતના આગેવાનો તથા CM સહિત ભાજપના પધાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગ પરના ખાડા રાતોરાત બુરાયા
અત્રે એ પણ નોંધનીય છે કે, ચોમાસાની સીઝનને લઇને અમરેલીના માર્ગો ખખડધજ બન્યા હતા.જેને પગલે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો આ દરમિયાન અમરેલીના આટકોટથી ઉટવડના માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું હતું, જેથી અનેક રજૂઆતો કરવા છતા માર્ગનું સમારકામ હાથ ધરાયું ન હતું. ત્યારે મુખ્યમંત્રીની અમરેલી મુલાકાતને લઈને રાતોરાત માર્ગનું સમારકામ હાથ ધરાયુ હતું. આથી ભલે પધાર્યા મુખ્યમંત્રી તેવો અમરેલીવાસીઑમાં ભાવ જન્મ્યો હતો.