લમ્પીના કહેરને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી રોગને અટકાવવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા છે.
લમ્પી વાયરસને લઇ CMની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે CMને આપી માહિતી
15 જિલ્લાના 1126 ગામોમાં રસીકરણ કરવામાં આવ્યું
સૌરાષ્ટ્ર સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં પશુઓમાં હાહાકાર મચાવતા લમ્પી વાયરસને લઇને સરકાર એક્શન મોડમાં કાર્યવાહી કરી રહી છે. આ અંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના જે ૧પ જિલ્લાઓના પશુધનમાં આ રોગના કેસો નોંધાયા છે તે જિલ્લાઓમાં અસરગ્રસ્ત ગામની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે વ્યાપક રસીકરણ માટે સૂચનાઓ આપી હતી.વધુમાં તાત્કાલિક કાર્યવાહી કેમ્પેઈન મોડમાં કરવા તેમણે સુચના આપી હતી.
૪૧,ર૪૩ પશુઓ રોગચાળાથી અસરગ્રસ્ત થયા
એટલું જ નહિ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાબડતોબ સારવાર અને એડવાઈઝરી મુજબ રસીકરણની કામગીરીને પૂર્ણ કરવા અને જરૂરી તમામ વ્યવસ્થા કરવા ભૂપેન્દ્ર પટેલે પશુપાલન વિભાગને સૂચનો કર્યા હતા અને રોગને વકરતો અટકાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ રોગચાળો રાજ્યમાં જામનગર, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ,ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણ જિલ્લાના ૧૧ર૬ ગામોમાં જોવા મળ્યો છે અને આ જિલ્લાઓના કુલ મળીને ૪૧,ર૪૩ પશુઓ આ રોગચાળાથી અસરગ્રસ્ત થયા હોવાનું પણ જાહેર થવા પામ્યું હતું.
પશુઓના વિનામૂલ્યે રસીકરણ કરવા માટે સૂચના
વધુમાં અસરગ્રસ્ત જિલ્લાઓના ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, સ્વસ્થ પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૩.૧૦ લાખ નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું હોવાનું પણ જાહેર થયું છે. લમ્પી સ્કીન ડિસીઝ રોગના સર્વે, રસીકરણ અને સારવારની કામગીરીના હેતુસર ૧પર પશુચિકિત્સા અધિકારીઓ તથા ૪૩૮ પશુધન નિરીક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે તેમ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.
3.10 લાખ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું
બેઠકમાં જાહેર થયેલ વિગત અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ પશુ દવાખાનાના વધારાના ર૬૯ જેટલા વેટરનરી ડૉક્ટર્સ અને કરૂણા એમ્બ્યુલન્સની સેવાઓ પણ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂરિયાત અનુસાર સ્થાનિક વહિવટી તંત્ર અને સહકારી ડેરીના માનવબળનો ઉપયોગ પણ કરવામાં આવશે. રાજ્યના પશુપાલકોને આ લમ્પી સ્કીન ડિસીઝ અંગે ઉદભવતા પ્રશ્નો તથા રોગ અંગેની જરૂરી જાણકારી માટે પશુપાલન વિભાગના અધિકારીઓની સેવા જીવીકે-ઇએમઆરઆઇ ના કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર ૧૯૬ર પર 24x7 ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
જરુરી સંશાધનો ઉપ્લબ્ધ કરાવવા પણ સૂચના આપી
ભારત સરકાર દ્વારા આ રોગના નિયંત્રણ માટે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરીને પશુધનમાં રોગચાળો અટકાવવાના ઉપાયો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં ખાસ તાકીદ કરી હતી.જે જિલ્લાઓમાં આ રોગચાળો વ્યાપક પ્રમાણે જોવા મળ્યો છે તેવા જિલ્લાઓમાં ઇતરડી, બગાઇ, માખી, ચાંચડ, મચ્છર જેવા રોગવાહકોનું નિયંત્રણ કરવાની સૂચના પણ આપવામાં આવેલી છે.
પશુપાલન વિભાગના અધિકારીઓ બેઠકમાં રહ્યાં ઉપસ્થિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજી પટેલ,રાજ્યમંત્રી દેવા માલમ, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવમુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સહીતના જોડાયા હતા.