ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટ બેઠકનું આયોજન, આદિવાસી વિસ્તારના વિકાસ કામો સહિત લેવાઈ શકે છે મોટા નિર્ણય
ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક
સવારે 10 કલાકે CMની અધ્યક્ષતામાં બેઠક
આદિવાસી વિસ્તારના વિકાસ કામો બાબતે ચર્ચા થશે
ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકારણ ખૂબ ગરમાઈ રહ્યું છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સતત સરકાર પર કામ અને યોજનાઓને લઈને પ્રહારો કરી રહી છે ત્યારે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.
રાજ્યમાં પીવાના પાણી બાબતે થશે ચર્ચા
ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ વારંવાર અલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ બેઠકમાં હિટવેવ સામેના પગલાઓની ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ સાથે જ જળાશયમાં રિઝર્વ પાણીના સ્ટોક બાબતે પણ ચર્ચા કરવામાં આવશે અને તેની સમીક્ષા કરવામાં આવશે, જેમાં સુજલામ સુફલામ જળ સંચય યોજના મહત્વપૂર્ણ રહેશે.
આદિવાસી વિસ્તારના વિકાસ કામો બાબતે ચર્ચા થશે
આ સિવાય આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોને લઈને પણ મુખ્યમંત્રી રિપોર્ટ માંગી શકે છે અને નિર્ણય લેવાઈ શકે છે. નોંધનીય છે કે મંગળવારે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આદિવાસીઓને અનુલક્ષીને રેલી સંબોધી હતી અને બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ BTP સાથે ગઠબંધન કરીને આદિવાસી મતોને ખેંચવા માટે પ્રયાસ કરી રહી છે.