મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી તિરંગા રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા હું મારી જાતને ધન્ય ગણું છું. આ સંદર્ભમાં તેઓએ સ્પષ્ટ કહ્યું કે, ‘‘આઝાદીનો અમૃત મહોત્સવ’’ દેશ માટે બલિદાન આપનારા રાષ્ટ્રવીરોને યાદ કરવાનો અવસર તો છે જ પરંતુ સાથે સાથે દેશ માટે સમર્પિત થવાનો અવસર છે.
મુખ્યમંત્રી પોરબંદરના વિવિધ માર્ગો પર તિરંગા યાત્રામાં જોડાયા
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સ્વરાજની સ્થાપના કરી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુરાજ્યની સ્થાપના થઈ છે. પોરબંદરના સુદામા ચોક ખાતેથી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી પોરબંદરના વિવિધ માર્ગોમાં સહભાગી થઈ પ્રજાજનોને શુભકામના પાઠવી હતી. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ સૌને શુભકામના પાઠવતા કહ્યું કે, જે રીતે લોટમાં રોટલા વખતે પાણી બધા તત્વોને જકડી રાખે છે તે રીતે રાષ્ટ્રભક્તિ આપણને જકડી રાખે છે. ભારત માતાના જમણા હાથમાં ગુજરાત છે, તેમ જણાવીને તેમણે ગુજરાતના સપૂતોને યાદ કર્યા હતા. વધુમાં ધારાસભ્ય બાબુ બોખીરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના અભિયાનો તેમજ ઘર તિરંગા અભિયાનમાં જોડાયેલા નાગરિકોને શુભકામના પાઠવી હતી.
મુખ્યમંત્રીએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.હર ઘર તિરંગા યાત્રાને પોરબંદર જિલ્લામાં પ્રસ્થાન કરાવવા આવેલા મુખ્યમંત્રીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને કીર્તિ મંદિર સ્થિત સંગ્રહાલય, મહાત્મા ગાંધીજી સેલ્ફી પોઇન્ટ તથા ચરખાનું નિરીક્ષણ કર્યું હતું.