ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનની ઠેર-ઠેર ઉજવણી.
દેશભરમાં ઉજવાઈ રહ્યો છે 'આઝાદી કા અમૃત મહોત્સવ'
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયામાં 'ત્રિરંગા યાત્રા'નો શુભારંભ
સુરતથી તિરંગા યાત્રાની થઈ હતી શરૂઆત
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશ સહિત ગુજરાતમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે અમદાવાદના ઘાટલોડિયા ખાતે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. મહત્વનું છે કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. આ તિરંગા યાત્રાની ગુજરાતમાં સુરતથી શરૂઆત કરવામાં આવી હતી.
13થી 15મી ઓગસ્ટ દરમિયાન દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. 13થી 15મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે.
#harghartiranga સાથે અપલોડ કરવા અનુરોધ
આ ઉપરાંત ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.
અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ લોકોએ પિન કર્યો ફ્લેગ
આ અભિયાન અંતર્ગત ૩૦ જુલાઈ સુધી ૪૦,૧૪,૯૩૩ નાગરિકોએ પોતાના લોકેશન પર ફ્લેગ પિન કર્યો છે. જ્યારે ૫,૭૯,૫૨૦ નાગરિકોએ ફ્લેગ સાથે સેલ્ફી અપલોડ કરી છે.