વરસાદનું જોર હળવું થતાં જ માર્ગોની મરામત અને પૂર્વવત કરવા નુકશાનીનો સત્વરે સરવે કરી સહાય ચુકવવી અને દવા છંટકાવ દ્વારા રોગ અટકાયતના પગલાં ભરવા આદેશ
CM ભૂપેન્દ્ર પટેલે પૂર અસરગ્રસ્ત 6 જિલ્લાના કલેકટર સાથે કરી વાત
સીએમ ડેસબોર્ડથી રાહત અને રેસ્ક્યૂ કામની ઊંડી વિગતો મેળવી
રોડ રસ્તા મરામત કરવા અને આરોગ્ય માટે ઓપરેશન નિરામયા ચલાવવા નિર્દેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તીવ્ર વરસાદ અસરગ્રસ્ત ૬ જિલ્લાઓની સ્થિતી તેમજ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની તલસ્પર્શી સમીક્ષા સી.એમ- ડેશબોર્ડના માધ્યમથી શુક્રવારે બપોરે કરી હતી. આ સમીક્ષા દરમ્યાન તેમણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદનું જોર હળવું થતાં જ આપણી અગ્રતા નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની તથા ખાસ કરીને માર્ગો-રસ્તાઓની મરામત કરી તેને પૂન: ઝડપભેર પૂર્વવત બનાવવાની હોવી જોઇએ. તેમણે જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાતો ડામવા દવા છંટકાવની બાબતોને પણ અગ્રતા આપવા જિલ્લા કલેકટરોને સુચનાઓ આપી હતી.
AMCના કંટ્રોલરૂમની મુલાકાત લીધી
જે બાદ CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના પાલડી સ્થિત AMCના કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા જ્યાં મનપા કમિશનર લોચન સહેરા પણ હાજર રહ્યા હતા. ચોમાસાની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે CMએ બેઠક કરી સૂચનો પણ આપ્યા હતા.
ભારે વરસાદથી અસરગ્રસ્ત વલસાડ, નવસારી, ડાંગ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં તંત્ર દ્વારા હાથ ધરાયેલ બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની સમીક્ષા સી.એમ ડેશબોર્ડના માધ્યમથી કરી. નુકસાન સહાયની ચૂકવણી તેમજ રોગચાળા નિયંત્રણ માટે દવા છંટકાવ સહિતની સૂચનાઓ કલેક્ટરશ્રીઓને આપી. pic.twitter.com/9b9QLb16fs
આરોગ્ય સુરક્ષા માટે ૪૦ ટીમ કાર્યરત
માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેકટરો સત્વરે તે અંગેનું કાર્યઆયોજન મોકલી આપે. ખાસ કરીને નવસારી જિલ્લામાં વરસાદને કારણે પાછલા ૪૮ કલાકમાં જે સ્થિતી સર્જાઇ તેમાં જિલ્લા તંત્રએ ખડેપગે દિવસ-રાત બચાવ-રાહત કામગીરી કરી છે તેની સરાહના કરી હતી. રાજ્યના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૩૦૦ જેટલા લોકો રેસ્કયુ કરવામાં આવ્યા છે તેમાંથી માત્ર નવસારી જિલ્લામાંથી જ એક જ દિવસમાં ૮૧૧ લોકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છે. આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ, NDRF,અને સ્થાનિક તરવૈયાઓએ રાતભર જહેમત કરીને સૌને સલામત બહાર કાઢયા છે
ઓપરેશન નિરામયા ચલાવાશે
નવસારીમાં એન.ડી.આર.એફ ની ૪ અને એસ.ડી.આર.એફ ની ૬ ટીમ તૈનાત છે અને જરૂર જણાયે વધુ ટીમ મોકલવા પણ કેન્દ્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ‘ઓપરેશન નિરામયા’ અંતર્ગત વરસાદી સ્થિતી બાદ સાફ-સફાઇ, કાદવ-કીચડ દૂર કરવા, દવા છંટકાવ માટે સુરત મહાનગરપાલિકાની ર૦૦ કામદારોની ટીમ ૬ જેટલા જે.સી.બી, પાંચ ડી વોટરીંગ પમ્પ, ટીપર ટ્રક, ગલ્ફર મશીન જેવા ૪૭ થી વધુ અદ્યતન સાધનો સાથે મદદમાં પહોચી ગઇ છે. એટલું જ નહિ, ૪૦ આરોગ્ય ટીમ પણ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગ અટકાયત અને નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી છે તેની વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.
गुजरात: मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद में पालड़ी नियंत्रण कक्ष से बाढ़ की स्थिति की निगरानी की। pic.twitter.com/IZdu9HfXTM
અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૪,૯૦૦ થી વધુનું સલામત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર
વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૪,૯૦૦ જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ આ સ્થળાંતરિત લોકોને આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની અને રહેવાની યોગ્ય સુવિધા મળી રહી છે તે અંગેની જાણકારી પણ સંબંધિત કલેકટરો પાસેથી મેળવી હતી. સ્થાનિક સેવાસંગઠનો અને સેવાભાવી સંસ્થાઓનો આ હેતુસર સહયોગ મળ્યો છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
ડાંગમાં સાપૂતારા તરફ જતો માર્ગ નાના વાહનો માટે પૂન: શરૂ
ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાની સ્થિતીની સમીક્ષા કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે વરસાદનું જોર હવે ઘટી રહ્યું છે તેમજ નદીઓમાં પાણી ઓસરવા લાગ્યા છે. સાપૂતારા તરફ જતો માર્ગ જે માટી અને ભેખડ ધસી જવાને કારણે બંધ હતો તે નાના વાહનો માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતી અને બંદરો પર લગાવવામાં આવેલા ચેતવણી સૂચક સિંગ્નલ તથા માછીમારો દરિયામાં ન જાય તેની સાવચેતીના આગોતરા પગલાંની પણ વિસ્તૃત વિગતો મેળવી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રાહત કમિશનર પી. સ્વરૂપ પણ સી.એમ-ડેશબોર્ડની આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા.