ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક હાલ 2 લાખ 11 હજાર 66 ક્યુસેક નોંધાઇ છે. ત્યારે સવારે 10 દરવાજા 1.30 મીટર સુધી ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી હોવાના કારણે ડેમની સપાટી ધીરે-ધીરે વધતી ગઈ. રાત્રીના નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની મહત્તમ સપાટીને પાર કરી દીધી છે એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી તે પરિપૂર્ણ થઇ છે.
આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ
અત્રે નોંધનીય છે કે, આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉપલેટામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. એ સિવાય જામજોધપુરમાં પોણા 2 ઈંચ વરસાદ, લિલિયામાં 1.5 ઈંચ વરસાદ, વાપીમાં સવા ઈંચ, સાંતલપુરમાં સવા ઈંચ, વેરાવળમાં 1 ઈંચ, ભચાઉમાં 1 ઈંચ, દાંતામાં પોણો ઈંચ, ધરમપુરમાં 17 મીમી વરસાદ, માળિયા મિયાણામાં 17 મીમી અને સાવલીમાં 15 મીમી વરસાદ નોંધાયો છે.