ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને કબજે કરવા માટે ભાજપ નવો દાવ અજમાવી શકે છે.
ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને કબજે કરવા ભાજપ નવો દાવ
CM ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરે તેવી શક્યતા
રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે. ત્યારે આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલને પણ ભાજપ સૌરાષ્ટ્રની બેઠક પરથી ઉમેદવારી કરાવે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત મળી રહ્યાં છે. નોંધનીય છે કે, ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
પાર્ટી જો ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ એવું રૂપાણીએ અગાઉ નિવેદન આપ્યું હતું
થોડાક સમય પહેલા વિજય રૂપાણીએ પાર્ટી જો ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ એવું નિવેદન આપ્યું હતું. વિજય રૂપાણી જ્યારે સોમનાથ મહાદેવના દર્શને ગયા હતા ત્યારે તેઓએ જો પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. ગત 27 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ.'અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઇ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી ભારતમાતા બને. પરમવૈભવના શિખર પર ભારત પહોંચે એ માટે એક સ્વપ્નથી કામ કરીએ છીએ. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.'