ધોરણ 10 અને 12ના અભ્યાસ બાદ કઇ સ્ટ્રીમમાં જવું કે ક્યો કોર્સ પસંદ કરવો તેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધોરણ 10 અને 12 પછી શું ?
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ઉડાન' પુસ્તકનું વિમોચન
ધો.10 -12 બાદ કારકિર્દીના વિકલ્પો અંગે માર્ગદર્શન
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા પુસ્તક "ઉડાન"નું વિમોચન કર્યું હતું.આ પુસ્તકમાં ધોરણ 10 અને 12 પછી શું કરવુ તે અંગે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓની મુંઝવણનો આવશે ઉકેલ
'ઉડાન'ના માધ્યમથી યુવાનોને ધોરણ 10 અને 12 બાદ કારકિર્દીના વિકલ્પો અંગે માર્ગદર્શન મળશે.આપને જણાવી દઈએ કે, આશરે 9 હજાર જેટલા પુસ્તકો વિદ્યાર્થીઓને મફત આપવામાં આવશે.અમદાવાદમાં SG હાઈવે પર આવેલી હિરામણી શાળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જનસહાયક ટ્રસ્ટ-હીરામણિ વિદ્યાસંકુલ દ્વારા પ્રકાશિત શૈક્ષણિક-વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા ‘ઉડાન’ નું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉદ્યોગોને અનુરૂપ માનવબળ રાજ્યમાં મળે તે માટે વ્યવસાયલક્ષી ટ્રેનિંગને રાજ્ય સરકારે મહત્વ આપ્યું છે. pic.twitter.com/PjYrIEVjah
વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દી ઘડતર તથા ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ પુરૂં પાડવા વ્યવસાયલક્ષી અભ્યાસનું માર્ગદર્શન આ વિશેષાંક સુપેરે પુરૂં પાડશે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની યુવાશક્તિને વર્લ્ડકલાસ એજ્યુકેશન, વિશ્વકક્ષાનું જ્ઞાન આપવા શરૂ કરેલી વિવિધલક્ષી અભ્યાસ-શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓની પહેલથી હવે છાત્રો માટે ઘરઆંગણે જ ઉચ્ચશિક્ષણના અવસરો મળતા થયા છે.
લર્નિંગ બાય ડૂઇંગનો કન્સેપ્ટ નીવડી રહ્યો છે કારગત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ સમયાનુકુલ નવી શિક્ષણ નીતિ દેશમાં ઘડી છે. ગુજરાતે પણ આધુનિક ટેક્નોલોજીયુકત જ્ઞાન વિદ્યાર્થીઓને મળી રહે તે માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ૧૬ હજારથી વધુ સ્માર્ટ કલાસીસ અને 780થી વધુ સરકારી શાળાઓમાં ‘લર્નિંગ બાય ડૂઇંગ’નો નવતર કોન્સેપ્ટ અપનાવેલો છે.
ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, હાલના સ્પર્ધાત્મકતાના યુગમાં પોતાના સંતાનની કારકીર્દી અને શિક્ષણ માટે માતા-પિતા પણ ચિંતીત હોય છે. આપણે બાળકને તેની રસરૂચિ મુજબના અભ્યાસક્રમ, કારકીર્દીમાં આગળ વધવાની તક આપવી જોઇએ એવો મત પણ તેમણે દર્શાવ્યો હતો.