મહેસાણા ખાતે 147 કરોડના સરદાર પટેલ અન્ડરપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન ગુજરાતને સતત મળતું રહ્યું છે. એટલે જ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતની વિકાસ યાત્રા સતત અને અવિરત રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના શહેરોને લીવેબલ અને લવેબલ બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. આ નેમ પાર પાડવામાં આજે વધુ એક નજરાણું મહેસાણાના અંડરપાસના નિર્માણથી ઉમેરાયું છે.
સરદાર પટેલનું વિશ્વ સ્તરનું સ્મારક બનાવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌરવ અપાવ્યું
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પથરાયેલા કુલ ૫ હજાર કિલોમીટર લંબાઇના નેશનલ હાઇવે વિકાસના રાજમાર્ગ બન્યા છે. રાજ્યમાં ૧ લાખ ૧૫ હજાર કિલોમીટર લંબાઇના રસ્તાઓનું નેટવર્ક ગુજરાતમાં છે. આખા ગુજરાતમાં એક છેડાથી બીજા છેડા પર ૬ થી ૮ કલાકમાં સલામત અને ઝડપથી પહોંચી શકાય તેવો આપણો ધ્યેય છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,પ્રગતિ પથના ૩૭૧૦ કિલોમિટર ના માર્ગોમાંથી ૯ કોરીડોરને રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે ફોર લેન બનાવવાના છે, જેનાથી વિકાસની ગતિની રફતારમાં વધારો થશે .તેમણે ઉમેર્યું હતું કે,કિસાનપથ યોજના હેઠળ ગામડાના ૧૦ હજાર કિલોમિટરના રસ્તાઓ અને વિકાસપથ યોજના થકી તાલુકા મથકોના ૮૦૦ કિ.મી રસ્તાઓને સુગમ બનાવ્યા છે. માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું, કે સરકાર સંસ્કૃતિને વરેલી સરકાર છે. સરદાર પટેલનું વિશ્વ સ્તરનું સ્મારક બનાવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌરવ અપાવ્યું છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 1117 કરોડના 656 કામો થયા
મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 1117 કરોડના 656 કામો થયા છે જે વિકાસની ગતિ બતાવે છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,રાજ્યમાં આરોગ્યની સલામતી જળવાઇ રહે તે માટે અનેક વિધ યોજનઓ અમલી બની છે. આગામી સમયમાં સિનિયર સિટીઝનો માટે માનવલક્ષી યોજના અમલી થઇ રહી છે, જેનાથી વડીલોને સારવાર ઘરે મળી રહેશે તેમ જણાવી રાજ્ય સરકારના અનેક વિધ પ્રયત્નોથી નાગરિકોના જીવનમાં આવેલ સકારત્મક પરિવર્તનનો મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
સરદાર પટેલ અન્ડરપાસ”ની અંદરના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે મહેસાણા શહેરને આજે ગુજરાતના સૌથી મોટા અડંરપાસની ભેટ મળી છે, જે આ શહેરનું ઘરેણું છે. તેમણે ઉમેર્યું હતું કે, મહેસાણા જિલ્લામાં અનેક વિકાસના કામો થયા છે. “સરદાર પટેલ અન્ડરપાસ”ની કામગીરીમાં હયાત ચાર માર્ગીય રસ્તા ઉપર જંકશન ખાતે 927 મીટર લંબાઇમાં અન્ડરપાસ તેમજ હયાત રસ્તાને આશરે ત્રણ કિલોમીટર લંબાઇમાં મજબૂતીકરણ તેમજ બંન્ને બાજુના હયાત સર્વિસ રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવલી છે. “સરદાર પટેલ અન્ડરપાસ”માં શહેરી ટ્રાફિકને તથા બસ સ્ટેશનને અનુકૂળ રહે તેમ ત્રણ બોક્ષ બનાવેલ છે. જે એસ.ટી.ડેપો, મોઢેરા સર્કલ તેમજ માલગોડાઉન ખાતે બનાવવામાં આવેલ છે. “સરદાર પટેલ અન્ડરપાસ”ની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે ચાર અન્ડર ગ્રાઉન્ડ સંપ મળીને અંદાજિત 12 લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા રાખવામાં આવેલ છે.જેને ખારી નદી સુધી પહોંચાડવા આઠ પંપ લગાવવામાં આવેલ છે. શહેરના વરસાદી પાણીના નિકાલ માટે “સરદાર પટેલ અન્ડરપાસ”નવા સર્વિસ રોડની બંન્ને બાજુએ 900મીટર વ્યાસની 02 વરસાદી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવેલ છે.