ગુજરાતમાં રખડતા ઢોરના કારણે કેટલાંય લોકોએ તેના ભોગ બનવું પડ્યું છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસથી જનતાને છુટકારો આપવા CMએ અધિકારીઓને કર્યો મહત્વનો આદેશ.
તૂટેલા રસ્તા અને રખડતા ઢોર મામલે CMએ અધિકારીઓને ખખડાવ્યા
રખડતા ઢોરને હટાવવા માટે CMએ અધિકારીઓને આપી કડક સૂચના
હાઇકોર્ટે પણ આજે રાજ્યમાં રખડતા પશુને લઇને આકરું વલણ અપનાવ્યું
આજ રોજ ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક યોજાઇ. જેમાં વરસાદની સ્થિતિથી માંડીને રખડતા ઢોર અને તૂટેલા રસ્તા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જે દરમ્યાન મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં તૂટેલા રસ્તા અને રખડતા ઢોર મુદ્દે અધિકારીઓને ખખડાવી નાખ્યા.
તૂટેલા રસ્તાને તાત્કાલિક રિપેર કરવાનો CMનો આદેશ
બેઠકમાં CMએ તૂટેલા રસ્તા અને રખડતા ઢોર મામલે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે તૂટેલા રસ્તાને તાત્કાલિક રિપેર કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે. તો બીજી બાજુ રાજ્યમાં રખડતા ઢોરને હટાવવા માટે પણ અધિકારીઓને CMએ સૂચના આપી છે. આથી, વરસાદ બંધ થયા બાદ રાજ્યમાં રોડના કામ શરૂ થશે.
હાઇકોર્ટે પણ રખડતા પશુને લઇને આકરું વલણ અપનાવ્યું
તમને જણાવી દઇએ કે, આજે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં રખડતા પશુને લઇને આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકારને આદેશ આપતા કહ્યું કે, 'સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે. રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ'.
મહત્વનું છે કે, ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહી છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
CMએ અગાઉ શહેરી વિકાસ વિભાગને આપ્યો હતો મહત્વનો આદેશ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં થોડા દિવસ અગાઉ રખડતા પશુના મુદ્દે ગુજરાત સરકારે પણ કડક વલણ અપનાવ્યું હતું. શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીએ મોટો આદેશ કરતાં જણાવ્યું હતું કે, 'રખડતા ઢોર મુદ્દેની કામગીરીનો એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુથી અકસ્માતના વધતાં બનાવ બાદ આ કડક સૂચના આપવામાં આવી છે. આ આદેશ બાદ રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ ઝડપે થશે કારણ કે રિપોર્ટમાં કામ દેખાડવું પણ જરુરી છે.'