હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિટિંગ બોલાવી આગમચેતીની તૈયારીઓની માહિતી મેળવી હતી.
ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી સમીક્ષા બેઠક
ગીર-સોમનાથમાં જળબંબાકાર
મૂશળધાર વરસાદથી મુસીબત
કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, તા. ૭ થી ૧૦ જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા ર૪ કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી. ગીર સોમનાથ ,જુનાગઢ ,દેવભૂમિ દ્વારકા ,સુરત, નવસારી ,વલસાડ,પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંઘે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યમંત્રીએ સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની ટીમ સંબંઘિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. હાલ રાજયમાં NDRF ની ૯ ટીમો તૈનાત છે તેમાંથી ગીર સોમનાથ-૧, નવસારી-૧, બનાસકાંઠા-૧, રાજકોટ-૨, વલસાડ-૧,સુરત-૧,ભાવનગર-૧, કચ્છ -૧ માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ ની ૧- ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે તેની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. વધુમાં કૃષિ વિભાગના અધિકારીઓએ વાવેતરને લઇને માહિતી આપી હતી.
જામનગરમાં અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના
ગુજરાતમાં મેઘાવી માહોલ વચ્ચે અનેક શહેરોમાં વારસાદ વેરી બન્યો હતો. મોટા ભાગના શહેરોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા અને આગામી સમયમાં પણ અનેક શહેરોમાં એલર્ટ જાહેર કરાયું હતું. જામનગરમાં 9 અને 10 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વર્તાઇ રહી છે. અને રેડ એલર્ટ પણ જાહેર કરાયુ છે ત્યારે રેડ એલર્ટને પગલે પગલે વહીવટી તંત્ર સાબદુ થયું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વધુમાં અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા તંત્રએ સૂચના આપી દીધી છે.
કોડીનાર અને સૂત્રાપાડમાં પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્રમાં આજે મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. જેમાં ગીર-સોમનાથ જિલ્લો તરબોળ થઈ ગયો હતો. સૌથી વધુ કોડીનાર અને સૂત્રાપાડમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે નદી-નાળા તો છલકાઈ જ ગયા પણ ખેતરો પણ પાણી પાણી થઈ ગયા હતા. ગઈકાલ સુધી જે વરસાદની રાહ ગીરની જનતા જોઈ રહી હતી. એ જ વરસાદ આજે આફત બનીને વરસ્યો અને સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાને તરબોળ કરી નાખ્યો. ધોધમાર વરસાદે સમગ્રી ગીર-સોમનાથને બાનમાં લીધું હતું અને ગામડાઓથી લઈને ખેતરો સુધી, રોડથી લઈને હાઈ-વે સુધી બધુ જ પાણી પાણી થઈ ગયું હતું.
સૂત્રાપાડાનું મટાણા ગામ પણ બેટમાં ફેરવાયું
ગીર-સોમનાથ જિલ્લામાં થયેલા અવિરત વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું.નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ખેતરો પાણી ફરી વળતાં ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હતી. ગીર-સોમનાથના દ્રોણેશ્વર ડેમ પાણીથી છલોછલ ભરાઈ ગયો હતો. વધુમાં કોડીનાર અને ગીર-સોમનાથને જોડતા હાઈ-વે પર બ્રિજ બનતો હોવાથી ડાયવઝાન અપાયું હતું. જોકો સોમત નદીમાં પૂર આવતા વાહવ્યવહારને અસર થઈ હતી. બન્ને સાઈડ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ગીર-સોમનાથ જિલ્લાનું માલશ્રમ ગામ પણ બેટમાં ફેરવાયું હતું. ગામમાં ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. અને આસપાસના ગામડાઓનો સંપકા તૂટયો હતો. સૂત્રાપાડાનું મટાણા ગામ પણ બેટમાં ફેરવાયું હતું. અહીં ગામને જોડતા બ્રિજ પરથી ધસમસતો નદીનો પ્રવાહ વહેતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.જેથી મટાણા ગામનો સંપકા તૂટયો હતો. વેરાવળમાં પણ ભારે વરસાદ બાદ ઉંબા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.. ઉંબા ગામ પાસે દેવકા નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહી હતી.
સાબરકાંઠામાં હાથમતી નદી બે કાંઠે વહી
વધુમાં સાબરકાંઠા અને તેના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ હાથમતી નદી બે કાંઠે વહી હતી. નદીમાં પૂર આવતાં કોઝવે ઓવરફ્લો થયો હતો. તો બેઠો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો. આ તરફ જાંબુડી ગામ પાસે હાથમતી નદી પર બનેલો કોઝવે ધોવાતા એક સાઈડનો રોડ તૂટી ગયો હતો. જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. દ્વારકામાં પડેલા ભારે વરસાદ બાદ અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. સાની ડેમનું નિર્માણકાર્ય ચાલતું હોવાથી ડેમના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા હતા.
કોલક નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી
આ તરફ સુરતમાં પણ ભારે વરસાદ પડતાં ખાડી વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા હતા. હજીરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો લોકોના ઘરમાં પણ પાણી ધુસી જતાં અનેક લોકોને હિજરત કરવી પડી હતી. આ તરફ ઓલપાડમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા હતા. વલસાડમાં પણ જંગલોમાં ભારે વરસાદ બાદ કોલક નદી બે કાંઠે વહેતી થઈ હતી. કોલક નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8, 9 અને 10 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈએ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દ્વારકા, પોરબંદરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.હાલ તો ભારે વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળી નાખ્યું છે અને આગામી ચાર દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે...જેને લઇને તંત્ર દ્વારા પણ કોઇ પણ વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.