ગુજરાતમાં કોરોનાના વધતાં પ્રકોપ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઑને તાત્કાલિક બેઠકમાં હાજર રહેવા આદેશ આપ્યા. સરકારની કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા
કોરોનાના કેસ વધતા CM નિવાસસ્થાને તાત્કાલિક બેઠક
બેઠક માટે તમામ મંત્રીઓ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા
સરકારની કામગીરી અને આગામી આયોજન મુદ્દે થશે ચર્ચા
ગુજરાતમાં કોરોના કેસોમાં એકદમ ઉછાળો આવ્યો છે. સરકાર કોરોનાના ટોપ ગેયર ઉપર બ્રેક મારવા તમામ પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠક બાદ પણ કોરોનાના કેસ વધવાને મામલે CM નિવાસસ્થાને તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને હાજર થવા સુચન આપ્યું હતું. કોરોના કાળમાં સરકારની કામગીરી અને આગામી આયોજન મુદ્દે આ ઈમરજન્સી બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. બેઠક માટે તમામ મંત્રીઓ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી ગયા હતા.
કેબિનેટ બેઠકમાં શું લેવાયા નિર્ણય?
ગાંધીનગર ખાતે કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને અધિકારીઓને મહત્વની સૂચના આપી છે. તો મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યો અને બજેટ અંગે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે.રાજ્યના લોકો માટે 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે. ભરૂચમાં થતાં નેશનલ હાઈવે 8 ઉપર ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ભરૂચના ઊભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એક કોસ્ટલ હાઈવે બનવાની પણ જાહેરાત કરી છે. 135 કિમીની નવી લિંક સાથેનો આ કોસ્ટલ હાઈવે બનશે. જે બોરસદ, તારાપુર, વટામણ, ધોલેરા થઇને ભાવનગર રસ્તો જાય છે, તેમના સ્થાને ખંભાત, કાળા તળાવ અને આંબલી પાટીયા સુધીની લિંકને જોડતો નવો રસ્તો બનશે.
લગ્ન સમારોહમાં માત્ર 150 લોકોને જ મંજૂરી, આજથી જ નવી ગાઈડલાઈન અમલી
આ ફેરફારો આજથી(12મી જાન્યુઆરી 2022) અમલમાં આવશે અને અને તારીખ 22મી જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.તો બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
મંગળવારે રાજ્યમાં 7476 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ઓમિક્રોનની દહેશતની વચ્ચે એક જ દિવસમાં કોરોનાના વધુ નવા 7 હજાર 476 કેસ નોંધાયા છે.જ્યારે 2 હજાર 704 દર્દી સાજા થયા છે..તો રાજ્યમાં કોરોનાથી 3 દર્દીનું મૃત્યુ થયું છે.વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મૃત્યુ થયા છે.આ સાથે રાજ્યનો રિક્વરી રેટ 94.59 ટકા થયો છે...રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 75 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 406 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 37 હજાર 238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 37 હજાર 204 દર્દીની હાલત સ્થિર છે.