ભરૂચના કાર્યક્રમમાં રજૂઆત કરનાર મહિલાને 24 કલાકમાં કરી મદદ
24 કલાકમાં દુકાનનો વારસાઈ હક મૃતકની પત્નીને આપવા કર્યો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવીય અભિગમ જોવા મળ્યો છે. ભરૂચના કાર્યક્રમમાં રજૂઆત કરનાર મહિલાને 24 કલાકમાં મદદ કરી તેમની કાર્યપદ્ધતિ બતાવી દીધી છે. દુકાનધારકના વિધવા મહિલાને વારસાઈ આપવા રજૂઆત કરી હતી. પણ તંત્રએ મહિલાના બંને બાળકો નાના હોવાથી હક આપવા ઈન્કાર કર્યો હતો પણ સીએમને કરેલી રજૂઆત બાદ વિધવા મહિલાને મોટી રાહત મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આમ તેમના સંબોધન વખતે કહેતા હોય છે. તમારી નાનામાં નાની વાતોનો અમે ખ્યાલ રાખીશું ભલે નવા હોઈએ પણ તમારી સમસ્યાને જળ મૂળથી નાથવાનો પ્રયત્ન કરીશું. અને એજ પગલે ભૂપેન્દ્ર પટેલે એક માનવતા દાખવી ભરુંચની વિધવા મહિલાની વહારે આવ્યા હતા. ધારાસભ્ય દુષ્યંત પટેલની મદદથી મહિલાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે સસ્તા અનાજની દુકાનધારક પતિનું કોરોનામાં મરણ થયું છે. આથી તે દુકાનનો વારસાઈ હક મેળવવા માંગે છે પણ સ્થાનિક તંત્રને અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. 2 વખત વિભાગે રજૂઆત ફગાવી તેવી રજૂઆત પણ સીએમ સમક્ષ વિધવા મહિલા કરી હતી. જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ મદદની ખાતરી આપી હતી. અને આજે એટલે કે 24 કલાકમાં દુકાનનો વારસાઈ હક મૃતકની પત્નીને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વિધવા મહિલા સહિત તેના 2 બાળકને કોઈ તકલીફ નહિ પડે. સરકારના આ નિર્ણયના ભારોભાર વખાણ થઈ રહ્યા છે.
ગઈકાલે ભરૂચના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે રમુજ અંદાજમાં કહ્યું કે..
આ ઉપરાંત ગઈકાલે ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી, જે બાદ સંબોધન વખતે તેમની આગવી છટામાં એક નિવેદન આપ્યું હતું અને નવા મંત્રી મંડળને પ્રજા આવકાર આપે અને ભૂલ થાય તો લાફોમારવાની જગ્યાએ શીખવાડે તેવુ રમુજ કર્યું હતું. સીએમ પટેલના આ નિવેદન બાદ સભામાં હાસ્યની છોળો ઉડી હતી. તેમને વધુમાં કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે, આથી નવા હોય એટલે કામ કરવાનો ઉત્સાહ પણ વધુ હોય, અને કોઈ ભૂલ થાય તો લોકોના લાફા પડે એટલે ઠરી પણ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો, થોડી ભૂલ થાય તો રસ્તો બતાવશો.
અમે ચોક્કસ સફળ થઈશું: CM ભૂપેન્દ્ર પટેલ
મહત્વનું છે કે નવી સરકારમાં તમામ મંત્રીઑ પણ નવા છે અને થોડા બિન અનુભવી પણ છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા દિવસ થોડા અને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાર્યો છે જેમઆ ગુજરાતના તમામ મંત્રીઑની અગ્નિ પરીક્ષા થવાની છે. અને આથી જ લોકોના કામ વહેલી તકે ઝડપથી આટોપવા અનેક નિર્ણય સરકાર અને મંત્રીઑ દ્વારા લેવાઈ રહ્યા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે અમે ચોક્કસ સફળ થઈશું. કાઇ ભૂલ હોય તેને સુધારી આગળ વધીશું બસ લોકોનો આશીર્વાદની સતત જરૂર છે. સાથે જ તેમની સલાહને પણ ધ્યાને લેવામાં આવશે.આમ ભરૂચના કાર્યક્રમમાં રજૂઆત કરનાર મહિલાને 24 કલાકમાં મદદ કરી ન્યાય આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલની કાર્યશૈલી કઈક અલગ જ જોવા મળી છે.