જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વસલાડ રેડ અલર્ટ જાહેર, CM ભૂપેન્દ્ર પટેલે 5 જિલ્લાઓની સ્થિતિઓ વિશે મેળવી માહિતી
રાજ્યમાં ભારે વરસાદથી 5 જિલ્લા રેડ અલર્ટ
CM એ 5 જિલ્લાના કલેક્ટરો સાથે કરી બેઠક
પરિસ્થિતિની સમીક્ષા કરી સંકલન કરવા સૂચન
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેધાની તોફાની બેટિંગથી જનજીવન અસ્ત વસ્ત છેહજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ છે.
CM એ 5 જિલ્લાના કલેક્ટરો સાથે કરી બેઠક
ત્યારે રાજ્યમાં ભારે વરસાદથી જે 5 જિલ્લાઓને રેડ અલર્ટ કરવામાં આવ્યા છે તે જિલ્લાના કલેક્ટરો સાથે CM ભૂપેન્દ્ર પટેલએ ડેશબોર્ડના માધ્યમથી જિલ્લાની સ્થિતિઓ વિશે સપૂર્ણ માહિતી મેળવી છે. લોકોના સ્થળાંતર, આશ્રય સ્થાનોમાં સુવિધા અંગે જાણકારી મેળવી સુરક્ષાને ભાગરૂપે જોખમી રોડ રસ્તા બંધ કરવા પણ સૂચન કર્યા છે. NDRF, SDRFની ટુકડીનું સંકલન સાધવા માર્ગદર્શન કરી તાકીદની મદદ માટે તાત્કાલિક રાજ્ય સરકાર સાથે સંકલન કરવા આદેશ કર્યો છે. આ ચર્ચા દરમિયાન મુખ્ય સચિવ, રાહત કમિશનર પણ હાજર રહ્યા હતા.
રાજ્યમાં 18 NDRF અને 21 SDRFની ટુકડીઓ ખડેપગે
રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૮ એનડીઆરએફની પ્લાટુન અને ૨૧ એસડીઆરએફની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની બે ટીમો અને એસડીઆરએફની પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં ૫૭૫ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સ્થાનિક યુવાઓના સહયોગથી કચ્છ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાના વિવિધ ગામોમાં પાણીમાં ફસાયેલા અંદાજે ૧૧૦ થી વધુ નાગરિકોને તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડનાર સ્થાનિકો, એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.
વરસાદને લીધે 83 લોકોના મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી.
31,035 લોકોને સલામત સ્થળે ખસેડાયા
રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.
138 ગામોના એસ ટી રૂટ બંધ
રાજ્યના ગામોમાં કાર્યરત ૧૪,૬૧૦ એસટી બસના રૂટમાંથી માત્ર ૧૩૮ ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તેમાં પણ ૧૪ રૂટ પૂર્વવત થઈ ગયા છે જ્યારે ૧૨૪ રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે ૧૮ હજારથી વધુ ગામો પૈકી માત્ર ૭૬૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. તે તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. આ માટે પણ જી.યુ.વી.એન.એલના અધિકારીઓને મંત્રીએ અભિનંદન આપ્યા હતા.
537 માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ
રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૫૧ સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો, ૪૮૩ પંચાયત મળી કુલ ૫૩૭ માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જ્યારે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૧, નવસારી નેશનલ હાઈવે-૬૪ અને ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાયો છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે.મંત્રી ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.