છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇ CMની બેઠક
CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી
રાજ્યની સ્થિતિ અંગે સમીક્ષા કરી
રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી, રાજ્યમાં વરસાદથી કયા કેવી સ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે. રાજ્યભરમાં હજુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે.
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી રાજ્યના છ જિલ્લામાં થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી.
જિલ્લા કલેક્ટરશ્રીઓને નીચાણવાળા સ્થળોએ રહેલા લોકોના સલામત સ્થળાંતર, તેમના ભોજન અને આરોગ્યની વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/U6VC2Fb6zO
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી સંવેદનશીલતાનું ઉદાહરણ પુરુ પાડતાં રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ,
નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના કલેક્ટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ જાયજો મેળવ્યો હતો. આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી.
છોટાઉદેપુરમાં ૪૦૦, નવસારીમાં ૫૫૦ અને વલસાડમાં ૪૭૦ સહિત રાજ્યમાં ૩,૨૫૦ જેટલાં નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની વ્યવસ્થાઓ માટે તેઓ સજ્જ રહે. એટલું જ નહીં, પોલીસ દળની મદદ લઈને પણ લોકોનું સ્થળાંતર થાય, વરસાદને પગલે કોઈ જાનહાની ન થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવા તેમણે ખાસ તાકીદ કરી હતી. રાજ્યમાં NDRFની ૧૩ ટીમ અને SDRFની ૧૬ પ્લાટૂન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની ૧ પ્લાટૂન મદદ માટે રવાના કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ વ્યાપક વરસાદથી અસરગ્રસ્ત એવા ૬ જિલ્લાના કલેક્ટરશ્રીઓને તેમના જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો, દરિયામાં ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘૂસી આવે તો તેની સામેની સાવચેતી, પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં તા. ૧૦ જુલાઈ એટલે કે આજની સ્થિતિએ સ્ટેટ હાઇવે, પંચાયત હાઇવે અને અન્ય માર્ગો મળીને કુલ ૩૮૮ જેટલા માર્ગો બંધ છે. સ્ટેટ હાઇવેના જે માર્ગ બંધ છે તે સહિતના માર્ગો પરની આડશો દૂર કરીને તેમજ અન્ય મરામત કરીને તેને પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગ અને સંબંધિત
જિલ્લા વહીવટી તંત્રને સૂચનો આપ્યા હતા.
રાજ્યમાં આજે આ છ જિલ્લાઓમાં સવારે ૮.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન ૫ ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. તે સંદર્ભમાં પણ મુખ્યમંત્રીએ સ્થળાંતર અને અન્ય સુરક્ષાત્મક પગલાની જરૂર જણાય તો જિલ્લા કલેકટરએ સ્થાનિક સ્તરે જ જરૂરી નિર્ણય લઇ ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેક્ટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતિનો અંગેનો તાગ મેળવ્યો હતો. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ વેળાએ ઉપસ્થિત હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસૂલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી સંદીપ વસાવા, રાહત કમિશનર પી. સ્વરૂપ સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદ બેઠકમાં જોડાયા હતા.
બોડેલીમાં 14 ઈંચ વરસાદથી આફત જ આફત
છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાયા છે. છોટાઉદેપુર-બોડેલીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના બોડેલીમાં 14 ઈંચ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે. નદી ગાંડી થઈ તેના પ્રવાહમાં જે પણ આવે તેનો સર્વનાશ કરી રહી છે.પાવી જેતપુરમાં 11 ઈંચ, છોટાઉદેપુરમાં 10 ઇંચ તેમજ કવાંટમાં 8 ઇંચ જેટલો તેમજ જીલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ 4-4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના લીધે કોઝવે ધોવાઈ ગયા છે. રેલવ લાઇન ટ્રેક પર પાણી ફરી વળતાં પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરી નાખવામાં આવી છે.
વલસાડમાં 36 કલાકમાં 18 ઈંચ વરસાદ વલસાડ જિલ્લાની ઔરંગા નદી ગાંડીતૂર બની હતી. જિલ્લામા 36 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતાં ઔરંગા નદી બે કાંઠે વહી હતી. તથા ધરમપુરના જંગલ વિસ્તારમાં 18 ઇંચ વરસાદને લીધે સ્થળ ત્યાં જળના દ્રશ્યો સર્જાયા હતા. વધુમા કાશ્મીરાનગર, લીલાપોર, હનુમાન ભાગડા ગામ, બંદરો રોડ પાણીમાં ગરકાવ થયા હતા અને દરિયામાં ભરતીને કારણે ઔરંગા નદીના પાણી શહેરમાં પ્રવેશ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તો બીજી બાજુ ધરમપુરની માન નદીનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. ધરમપુર બામટી નજીક માન નદીનો પુલ ધોવાતા પુલ પર પાણી ફરી વળ્યા હતા. ઔરંગા નદીમાં પૂર આવતા નદીની આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા.કશ્મીરનગર, બરુડિયાબાદ વિસ્તારમાં પાણી ઘૂસતા અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરી નદી કિનારા વિસ્તારના લોકોને અલર્ટ કરાયા હતા.