6 ઓક્ટોબરે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં ખેડૂતના પાક નુકસાન અંગે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનાર છે જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે. આ બેઠકમાં પાક નુકસાન સર્વે અંગે પણ ચર્ચા કરાશે તેમજ ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગે પણ નિર્ણય લેવાય તેવું મનાઈ રહ્યું છે.
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે
ગુજરાત સહિત દેશ આખોય કોરોના મહામારી સામે એક થઈને લડી રહ્યો છે પણ ખાસ કરીને હાલ ગુજરાત એક બાદ એક આવેલી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. 2020માં અતિવૃષ્ટિનો માર ઝેલી ઊભા થયેલા ગુજરાત વાસીઓ તૌક-તે વાવાઝોડાએ હેરાન હેરાન કરી નાખ્યા હતા, તૌક-તે વાવાઝોડામાં કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતને વેઠવું પડ્યું હતું. જે બાદ હવે ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી આફત ત્રાટકતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘણા એવા જિલ્લાઓ છે જેમાં 2020માં થયેલી અતિવૃષ્ટિ, અને તૌક-તે વાવાઝોડાની નુકસાનીની સહાય સરકાર પાસે લેવાની બાકી છે. ત્યારે ગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો છે
ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગે નિર્ણય લેવાઇ શકે છે
મહત્વનું છે કે ગીર-સોમનાથમાં 70 હજાર 481 અસરગ્રસ્તોને મકાન સહાય ચૂકવી, 40 હજાર 698 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય અને 1 લાખ 2 હજાર 625 અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવાઈ જ્યારે અમરેલી જિલ્લામાં 53 હજાર 254 અસરગ્રસ્તોને મકાન સહાય, 49 હજાર 594 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય, 3 લાખ 7 હજાર 521 અસરગ્રસ્તને કેશડોલ સહાય ચૂકવી દેવામાં આવી છે. ત્યારે હજુ પણ અન્ય જિલ્લા ખેડૂતો તૌકતે વાવાઝોડાની સહાય મળશે તેવી આશ રાખી બેઠા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને જામનગર એ રાજકોટ પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં પડેલા વરસાદે ભયવાહ તારાજી સર્જી છે તેનો સર્વે સરકાર દ્વારા થઈ રહ્યો છે. અને ટુંક સમયમાં સહાયની જાહેરાત પણ કરવામાં આવશે ત્યારે જોવું રહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે માગેલા 7239.47 કરોડના સહાય પેકેજ સામે કેટલા કરોડ મંજૂર કરે છે અને ગુજરાત સરકાર કેટલા ઉમેરી અસરગ્રસ્તો સુધી સહાય પહોંચાડે છે.
પાક નુકસાન સર્વે અંગે ચર્ચા કરાશે
સરકારની કેબિનેટ બેઠક મળનાર છે તેમાં મુખ્યમંત્રી ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા અંગે પણ નિર્ણય લઈ શકે છે, અગાઉ કોરોના સંક્રમણ કાબૂમાં આવતા જ ધોરણ 6 થી 8 નાં વર્ગો શરુ કરવા માટે મંજૂરી મળતા શરૂ કરી દેવામાં આવ્યા છે તો ધોરણ 9 થી 11ના વર્ગો પણ શરુ થઇ ગયા છે. ત્યારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ધોરણ-1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા અંગે ચર્ચા થશે