જાહેર કાર્યક્રમોમાં રાજકીય દિગ્ગજોની હાજરી ઉડીને આંખે વળગી રહી છે કારણ કે ચૂંટણી આવી રહી છે. જી , હા ગુજરાતમાં એક બાદ એક જિલ્લામાં સીએમ સહિત પ્રદેશ અધ્યક્ષ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. અગાઉ સીએમ એક આખો દિવસ રાજકોટના પ્રવાસે હતા ત્યારે હવે આજે તેઓ મોરબીના પ્રવાસે છે.
પાટોત્સવમાં સીએમ આપશે હાજરી
મોરબીમાં માળીયાના વાવણિયા ગામે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામબાઇ માતાજીની જગ્યા ખાતે પાટોત્સવ કરવામાં આવનાર છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે. સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર રહેશે. પાટોત્સવમાં અતિથિ ભવન, ભોજનાલય, ગૌશાળા સહિતનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર, સિવિલમાં ઑક્સિજન પ્લાન્ચ સહિત કોવિડ વોર્ડનું લોકાર્પણ કરાશે.
સીએમ અગાઉ હતા રાજકોટના પ્રવાસે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ પહેલા રાજકોટના પ્રવાસે હતા. તેઓ એરપોર્ટથી સીધા બાયરોડ રામપર બેટી જવા રવાના થયા હતા. રામપર બેટી ખાતે વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનો તેમજ આટકોટ અને મવડીનાં પોલીસ આવાસ, જિલ્લા પંચાયતની 650 આંગણવાડીઓમાં આર.ઓ. સિસ્ટમ તેમજ 200 શાળાઓમાં અડધો કરોડનાં ખર્ચે મુકાયેલા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. 11.50 કલાકે મ્યુનિસિપલ કમિશનર ઓફીસ ખાતે ડોર ટુ ડોર કચરા એકત્રિત કરતી વાહનને ફલેગ ઓફ કરાવ્યુ હતું. તેમજ 12 કલાકે મ્યુનિ. કમિશનર ઓફીસ ખાતે રાજકોટ મહાનગરપાલિકાની બેઠકમાં તેઓ હાજરી આપી હતી.. તેમજ દિવાનપરામાં સાંજના 5 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સીએફસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના પ્રતિનિધી મંડળ સાથે કરી હતી બેઠક
મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા જનતાને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા માટે વિવિધ જિલ્લાઓમાં બેઠકોનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ સીએમ રાજકોટની મુલાકાતે હતા. તેઓએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા પોલીસ વિભાગ, મનપા, અને શિક્ષણ વિભાગના લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. શહેરમાં કાયમી પોલીસ કમિશનરની નિમણુકની માંગણી
કરી હતી. ઇ મેમો મુદ્દે પણ કોંગ્રેસે CMને રજૂઆતો કરી હતી. આ ઉપરાંત શહેરમાં પાણીની સમસ્યા, ફી વધારો તથા નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે પણ રજૂઆતો કરવામાં આવી હતી.