મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખાનગી સોસાયટીની જન ભાગીદારી યોજનામાં રૂ. 255.76 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ, જામનગર, બારેજા અને કરજણમાં 3050 કામો મંજૂર કર્યાં
ખાનગી સોસાયટીની જન ભાગીદારી યોજના અંતર્ગત રાજ્ય સરકારે અમદાવાદ અને જામનગરમાં યોજના હેઠળ વિકાસના કામોને મંજૂરી આપી છે. તો બીજી બાજુ બારેજા અને કરજણ નગરપાલિકામાં યોજના હેઠળ વિકાસના કામોને મંજૂરી અપાઇ છે.
Gujarat: CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, ખાનગી સોસાયટીની જન ભાગીદારી યોજના હેઠળ રૂ. 255.76 કરોડના વિકાસના કામોને મંજૂરી અપાઇ#Gujarat@Bhupendrapbjp
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 3, 2022
અમદાવાદમાં 7 ઝોનમાં 1,961 કામોને મંજૂરી આપવામાં આવી. અમદાવાદમાં રૂ.195.25 કરોડના કામોની મંજૂરી અપાઈ છે. અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના 12.69 કરોડના 456 કામોની મંજૂરી સરકારે આપી છે. તો બીજી બાજુ જામનગરમાં પણ રૂ. 43.85 કરોડના 588 કામોને મંજૂરી અપાઇ છે. કરજણ નગરપાલિકાના 2.79 કરોડના 33 કામોને સરકારે મંજૂરી આપી છે. જ્યારે બારેજા નગરપાલિકાના રૂ. 1.18 કરોડના 12 કામોને મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદમાં 7 ઝોનમાં 1,961 કામોને મંજૂરી આપવામાં આવી
મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ બધી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. તદઅનુસાર, અમદાવાદ મનપાના કુલ 7 ઝોનમાં 195.25 કરોડના 1961 કામો માટે તેમજ 12.69 કરોડ રૂપિયા 456 જેટલા સ્ટ્રીટ લાઇના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેનાથી સી.સી. રોડ, પેવર બ્લોક નાંખવા, ભૂગર્ભ ગટર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના, પીવાના પાણીની પાઇપ લાઇન તેમજ સ્ટ્રીટ લાઇટના એમ કુલ 2417 કામો અમદાવાદમાં હાથ ધરવામાં આવશે.
અમદાવાદ મનપામાં આવા ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અન્વયે મધ્ય ઝોનમાં રૂ. 2.75 કરોડ 32 કામો માટે, ઉત્તર ઝોનના 260 કામો માટે રૂ. 20.60 કરોડ, પૂર્વ ઝોનમાં 406 કામો માટે રૂ. 34.18 કરોડ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 147 કામના હેતુસર રૂ. 21.53 કરોડ તેમજ દક્ષિણ ઝોનમાં 462 કામો માટે રૂ. 44.72 કરોડ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 242 કામો માટે રૂ. 28.02 કરોડ તથા પશ્ચિમ ઝોનમાં 412 કામો માટે રૂ. 43.41 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામોનો લાભ અમદાવાદના વિવિધ ઝોનના અંદાજે 58,778 પરિવારોને મળશે.
જામનગરમાં રૂ. 43.85 કરોડના 588 કામોને મંજૂરી અપાઇ
જ્યારે જામનગર મનપા દ્વારા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ કુલ 588 કામો માટે રૂ. 43.85 કરોડની રજૂ થયેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા હવે આ 588 કામો અંતર્ગત સી.સી. રોડ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરશે.
એ સિવાય અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકાને 12 કામો માટે રૂ. 1.18 કરોડની મંજૂરી અપાઇ છે. જેના લીધે બારેજાના 620 પરિવારોને સુવિધા ઉપલબ્ધ થશે. તો વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાને રૂ. 2.79 કરોડના ખર્ચે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ સી.સી. રોડ અને પેવર બ્લોકના 33 કામો માટેની દરખાસ્તને પણ મંજૂરી અપાઇ છે. જેનાથી કરજણ નગરના 1172 પરિવારોને આ સુખાકારી સુવિધા મળશે.
ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ કુલ 61,158 પરિવારોને સુવિધા મળશે
આથી, તમને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ સમગ્રતયા 3050 કામો માટે કુલ 255.76 કરોડની ફાળવણી કરાશે. જેનાથી કુલ 61,158 પરિવારોને સુવિધા પ્રાપ્ત થશે. અત્રે તમને જણાવી દઇએ કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ 70:20:10 મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.