પ્રજાના ટેક્સના રૂપિયાનો મનફાવે તેમ વહીવટ કરી, ફરી પાછા થયેલા કોમો જ કરવામાં આવી રહ્યા છે?
ભાવનગર મહાપાલિકાનો અણઘડ વહીવટ
3 કરોડના ખર્ચે સાયકલ ટ્રેકમાં ડેમેજ
સાયકલ ટ્રેક પાસે જ ડ્રેનેજ વોટર સ્ટ્રોમ લાઈનનું ખોદકામ
ખોદકામને કારણે સાયકલ ટ્રેક ડેમેજ થયો
રાજ્ય સરકાર એક તરફ સાયકલ જેવા દ્વિ- ચક્રી વાહનોના વધુ વપરાશ તરફ ભાર આપી રહી છે ત્યારે,ભાવનગર મહાપાલિકાએ એક વિપરીત સ્થિતિનું ઉદાહરણ આપી,જનતાના નાણાં ની કેવી રીતે બરબાદી કરવી તેનો વહીવટ કરતી હોય તેવુ દેખાઈ રહ્યું છે. રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બનાવાયેલા સાયકલ ટ્રેક પાસે ડ્રેનેજ વોટર સ્ટ્રોમ લાઇનનું ખોદકામ કરવામાં આવતા સાયકલ ટ્રેકની દશા અને દિશા બગડી જવા પામી છે.
ત્રણ કરોડના ખર્ચે બનાવ્યા હતો ટ્રેક
શહેરના નાગરિકો માટે અને ખાસ કરીને સાયકલ ચાલકો માટે ભાવનગર મહાપાલિકાએ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બે સાયકલ ટ્રેક બનાવ્યા હતા. એક કાળિયાબીડ સર્કલથી સરદાર પટેલ સ્કૂલ અને બીજો એમ. કે. બી યુનિવર્સિટી તરફનો ટ્રેક. પરંતુ બંને ટ્રેક પર ફક્ત સાધનોનું પાર્કિગ જ થાય છે આજે તે ટ્રેક સાયકલ ચાલક નાગરિકો માટે કોઈ ઉપયોગી નથી રહ્યા. ત્રણ કરોડ રૂપિયા ખર્ચી નાખી પાછળ થી ભાવનગર કોર્પોરેશનના સત્તાધીશોને યાદ આવ્યું કે અહીથી ડ્રેનેજ વૉટરનું ખોદકામ કરવું જોઈએ. એ પછી કોર્પોરેશને અણધડ વહીવટ કરી સાયકલ ટ્રેકની પથારી ફેરવી નાખી એટલે કે ત્રણ કરોડના ખર્ચે બનેલો ટ્રેક ખોદી નાખ્યો..
અણઘડ વહીવટ સામે અનેક સવાલ
એક તરફ ડ્રેનેજ વૉટરનું ખોદકામ થયું છે. તો બીજી તરફ વીજ કંપની દ્વારા ટ્રેકના સ્થળ પર ટ્રાન્સફૉર્મસ લગાવવા શરૂ કરાયા છે. આટલું અપૂરતું હોય તેમ,ખોદકામ કરાયેલા સાયકલ ટ્રેક પર આડેધડ પાર્કિંગ પણ થવા લાગ્યા છે. આ પરિણામે સાયકલ ચાલકો અને સવાર-સાંજ સાયકલિંગ કરતાં યુવાઓ અને નાગરિકો,સાયકલ ચલાવવી તો ક્યાં ? એ દુવિધામાં અટવાયા છે. નાગરિકોની જનસુખાકારી અને સુવિધા માટે સામાન્ય રીતે કાર્યરત મહાનગરપાલિકાના શાસકો અહીં 'અંધેર નગરી અને ચોપટ રાજા' જેવા વહીવટના દર્શન કરાવે છે. રૂપિયા ત્રણ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સાયકલ ટ્રેક બન્યા પછી ડ્રેનેજ વોટર સ્ટ્રોમ લાઇન નાખવાનો વિચાર આવવો જ આશ્ચર્યજનક છે.
શાસક વિપક્ષ આમને સામને
ત્યારે હવે ટ્રેકને તાત્કાલિક રિપેર કરવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો છે.. તો બીજી તરફ વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે કે, તંત્ર દ્વારા કોઈ પણ કામ વિચાર કર્યા વગર કરવામાં આવે છે... જો તંત્રને પહેલા જ સ્ટોમ લાઈન નાખવાની હતી તો આ ટ્રેક કેમ બનાવ્યો હતો.. પ્રજાના પૈસાને આડેધડ વાપરવામાં આવતા હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે..
હમણાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચુંટણીઑમાં ભાવનગરની જનતાએ પણ સતાધારી પક્ષ પર મહોર મારી હતી,પરંતુ,શહેરીજનોને કલ્પના સુદ્ધાં નહીં હોય કે, નાગરિકોના ટેક્સના નાણાંનો આ પ્રકારે દુરુપયોગ થશે. રૂપિયા ત્રણ કરોડનું આંધણ થયા પછી શું હવે ફરીથી સાયકલ ટ્રેક બનશે ? કે પછી આ ટ્રેક કાયમ માટે આડેધડ પાર્કિંગનો અડ્ડો બની રહેશે ? ભાવનગરમાં થઈ રહેલો આ અણધડ વહીવટ સામે લોકોએ પ્રશ્ન કરવો જરૂરી છે તો બીજી તરફ સરકારએ આ માટે જવાબ માગવો જરૂરી છે કારણ કે વહીવટ મળતા જ મનફાવે તેમ પ્રજાના રૂપિયાનો ખોટો વેડફાટ થઈ રહ્યો છે.