Unseasonal rain forecast in Gujarat: ગુજરાતભરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. આકાશમાં વાદળો ગોરંભાતા ખેડૂતોના જીવ ફરીથી તાળવે ચોંટી ગયા છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ
અમદાવાદના અમુક વિસ્તારમાં વરસાદી છાંટા
ફરી માવઠાના ભયથી ખેડૂતો ચિંતિત
રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર-ઠેર અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાત સહિત અમદાવાદના વાતાવરણમાં આજ સવારથી પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા
આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે. આજે અમદાવાદ શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર, જોધપુર, વેજલપુર, બોપલ, ચાંદખેડા, નરોડા અને નવરંગપુરાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ
બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો છવાયા છે. સતત ત્રીજીવાર કમોસમી માવઠાની શક્યતાથી ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે ઘઉં, વરિયાળી, દિવેલ સહિતના પાકોને નુકસાન થઈ શકે છે.
રાજકોટમાં વરસાદી માહોલ
આજે રામનવમીના દિવસે રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાળું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.
મહીસાગરના ખેડૂતોની ચિંતામાં વધારો
મહીસાગર જિલ્લામાં ફરી કમોસમી વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. જિલ્લાના લુણાવાડા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં નુકસાન થઈ શકે છે. વરસાદથી ઘઉં, મકાઈ, કપાસ સહિત ઘાસચારાને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આજે અને આવતીકાલે રાજ્યના વરસાદની આગાહી
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. જોકે, હવામાન વિભાગની આ આગાહીને લઈને અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વરસાદની આગાહીને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને શિયાળું પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે.
પાક નુકસાનીની ભીતિ
થોડા સમય પહેલા જ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આમ ભરઉનાળે વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકનો શોથ વળી ગયો હતો. આમ મોટાભાગના કમોસમી વરસાદની અસર માંડ પૂરી થઈ જેની કળ હજુ વળી નથી ત્યાં ફરી વધુ એક વખત રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો મુંજાયા છે.