રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો,ક્યાંક વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ
હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો
વિવિધ જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ
જામનગર-જૂનાગઢમાં વરસાદી માહોલ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે. વિવિધ જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વરસાદની સંભાવનાને પગલે વાદળિયુ વાતાવરણ જોવા મળતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે હવામાન વિભાગે 20 અને 21 એપ્રિલ કમોસમી વરસાદની આગાહી કરી હતી.
વિવિધ જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે ગરમીથી આંશિક રાહત મળી છે. વાત કરીએ સુરેન્દ્ર નગરની તો અહીં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે.ઠંડા પવનો ફૂંકાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. આ તરફ સાબરકાંઠામાં વરસાદી વાદળ ઘેરાતા ખેડૂતો ખેતીને લઇને મૂંઝાયા હતા..તો અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા ગરમીથી આંશિક રાહત મળી.
જામનગર-જૂનાગઢમાં વરસાદ
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે પ્રાપ્ત થયેલા અહેવાલો પ્રમાણે જૂનાગઢના માંગરોળના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માંગરોળમાં વહેલી સવારથી જ કાળા ડિંબાંગ વાદળો જોવા મળ્યા હતા અને ત્યારબાદ એકાએક કમોસમી વરસાદ શરૂ થતાં ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીંતિ પ્રસરી છે. જ્યારે જામનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધીમીધારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે
કેરીના પાકને નુકસાન
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ છે. કેસર કેરીના બગીચામાં મોટા નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેસર કેરી ઉપરાંત ચણા અને તમાકુના પાકને પણ નુકસાનની શક્યતા છે.
હવામાન ખાતાએ શું કરી છે આગાહી
ગુજરાતમાં આજથી બુધવાર અને ગુરુવારે બે દિવસ કમોસમી વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. 20 અને 21 એપ્રિલ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે.રાજ્યમાં બે દિવસ ગરમીથી આંશિક રાહત મળે તેવી શકયતા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે..હવામાન વિભાગે બે દિવસ દરમિયાન થન્ડર સ્ટોર્મની અસર રહેવાની પણ શકયતા વ્યકત કરી છે.
હવામાન વિભાગે ઉપરોક્ત જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે ત્યારે સાબરકાંઠાના કલેક્ટરે ખેડૂતોને સાવચેત કર્યા છે અને ખુલ્લી જગ્યામાં મુકેલા પાકને સલામત સ્થળે ખસેડવા સૂચન જારી કર્યું છે.કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને APMC અને સબસેન્ટરમાં માલને વ્યવસ્થિત જગ્યાએ રાખવા સૂચના આપી છે. આ કમોસમી વરસાદથી હાલમાં જ પિયત કરેલા ઉનાળુ પાકને નુકસાન થઇ શકે છે