ગુજરાત ઉપર હવે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ છેલ્લ ચારેક દિવસથી રાજ્યભરમાં વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના 207 જેટલી યોજનાઓમાં તા. 11 જુલાઈ, 2022ના રોજ 40.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમા 1,51,586 એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રશક્તિના 45.37 ટકા છે.
206 જળાશયોમાં 2,24,287 એમસીએફટી જળસંગ્રહ થયો
પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર 11 જળાશયો 100 ટકા કે તેથી વધુ, 18 જળાશયો 70થી 100 ટકા, 25 જળાશયો 50 ટકાથી 70 ટકા (સરદાર સરોવર સહિત), 101 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.
જળાશયો હાઇએલર્ટ પર
રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 11 જળાશયો તેમજ 90થી 100 ટકાના જળસંગ્રહ ધરાવતા 2 જળાશયો મળી કુલ 13 જળાશયો હાઈએલર્ટ ઉપર, 80થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશયો એલર્ટ પર તથા 70 થી 80 ટકા ભરાયેલા 7 જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવીને વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી.
વડાપ્રધાને મુખ્યમંત્રીને ફોન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી.
ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યના અનેક ભાગમાં 10થી 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો વળી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 5થી 10 ઇંચ સુધી વરસાદ પદે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.