રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેને લઇને ભર ઉનાળે રાજ્યભરમાં ભર ચોમાસા જેવા માહોલ જામ્યો છે. ક્યાંક કરા સાથે તો ક્યાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે.
સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન, વાદળછાયું વાતાવરણ, અમી છાંટણા, કરા અને વીજળી સાથે વરસાદ ખાબકી રહ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. કારણ કે, મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માવઠાને ખેડૂતોની માઠી હાલત કરી મુકી છે. આમ રાજ્યમાં બે પ્રકારનો માહોલ જામ્યો છે. એક તરફ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો ઠંડક પ્રસરતા રાજીના રેડ થઈ ગયા છે.
જ્યારે બીજી તરફ કેરી, તમાકુ, વરિયાળીના પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ છે. કારણ કે, એક તો ઓછા વરસાદનો મારો જેલી જ રહ્યા હતા. કે તેવામાં કાળમુખું કમોસમી માવઠું ખાબક્યું. રાજકોટના ખાકડાબેલા ગામે તો માવઠાએ એક મહિલાનો ભોગ પણ લઈ લીધો છે.
એવી માહિતી છે કે, વાવાઝોડાની જેમાં ફૂકાતા પવનના કારણે એક ઝાડ મહિલા પર પડ્યું હતું. જેના કારણ મહિલાનું મોત થયું છે. આ તરફ અમદાવાદ અને મહિસાણામાં પણ તોફાની પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ગાંધીનગરમાં કરા સાથે વરસાદ
આ તરફ ગાંધીનગરમાં પણ ધૂળની ડમરીઓ જોવા મળી. વાતાવરણમાં આવેલા પલટાના કારણે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે, ડમરીઓ ઉડી રહી છે. વાહન ચાલકોને પણ ધૂળ ઉડવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે રાજ્યભરમાં આ પ્રકારનો માહોલ બંધાયો છે. અનેક જગ્યાઓ પર વરસાદી ઝાપટા પણ પડ્યા છે. તો ક્યાંક બરફના કરા સાથે વરસાદ પડ્યો છે.
બનાસકાંઠાના દિયોદર પંથકમાં વરસાદ
બનાસકાંઠાના દિયોદર પંથકમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદ પડતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. તમાકુ અને વરિયાળીના પાકને નુકસાનની ભીતિ. કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમદાવાદના વાતાવરણમાં પલટો
રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો અનેક જગ્યાઓ પર વરસાદી ઝાપટા પણ પડ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ તરફ અમદાવાદમાં પણ ભારે પવન ફૂકાતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જોકે અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરીજનોને ક્યાંકને ક્યાંક અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
વીરમગામમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા
સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો આ સાથે અમદાવાદ સહિત અનેક જગ્યાએ વાવઝોડું જોવા મળ્યું છે. ભારે પવન સાથે ઠેર-ઠેર ધૂળની ડમરીઓ ચડી હતી. વિરમગામમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે.
મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતા એકનું મોત
મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની રમઝટ થઇ રહી છે. સમગ્ર જિલ્લામાં વરસાદ પડતા ભારે નુકસાન થશે. વિજાપુરના માલોસણ ગામે વીજળી પડી છે. તો આ વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા શખ્સનું મોત નિપજ્યું છે.
રાજકોટઃ ભારે વરસાદથી અનેક મકાનોની દિવાલો ધરાશાયી, એક મહિલાનું મોત
રાજકોટ જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં ધૂળની ડમરી સાથે વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. ત્યારે રાજકોટમાં ભારે વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદમાં રાજકોટના ખાખડાબેલા ગામે એક મહિલાનું મોત થયુ હતુ. જ્યારે ભારે વરસાદથી અનેક મકાનોની દિવાલો ધરાશાયી થઈ હતી. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની પણ શક્યતા છે. જોકે પડધરી તાલુકામાં પવન સાથે એકાએક વરસાદ પડ્યો હતો.
રાજકોટના પડધરીમા વરસાદ, લલિત કગથરાનું કાર્યાલય તૂટ્યુ
ભારે પવન અને વરસાદના કારણે લલિત કગથરાનું કાર્યાલય તૂટ્યુ હતું. ભારે પવન ફુંકાતા કોંગ્રેસનુ કાર્યાલય તુટ્યુ હોવાની માહિતી મળી રહી છે.
મોરબીમાં વાતાવરણ પલટાયું
મોરબીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે...મોરબીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો...ઉનાળામાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે...ત્યારે બીજી બાજુ પાક માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થશે...જેને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે...હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે...
જામનગરમાં વાતાવરણમાં પલટો
તો આ તરફ જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારે જિલ્લામાં વાદળછાયુ વાતાવરણમાં વરસાદના છાટા પડ્યા હતા. સવારથી જ જામનગરમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદની સૌથી વધુ અસર જિલ્લાના જોડિયા તાલુકામાં જોવા મળી હતી. તાલુકામાં વીજળીના કડાકા સાથે કરા પડ્યા હતા.
રાપર તાલુકાના થાનપર ગામમા કરા સાથે કમોસમી વરસાદ શરૂ
વાતાવરણની સૌથી વધુ અસર કચ્છમાં જોવા મળી હતી. કચ્છના રાપર તાલુકાના થાનપર ગામમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જે દિવસોમાં ગરમી દઝાડતી હોય તે દિવસોમાં બરફના કરા પડતા લોકોને પણ આશ્ચર્ય થયું છે.
સાબરકાંઠાના ઈડરમાં વાતાવરણમાં પલટો
રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે સાબરકાંઠાના ઇડરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ત્યારે વરસાદ પડતા ખેડૂતોને પાકમાં નુકસાની થવાનો ડર છે. ખેડૂતોએ સંગ્રહ કરાયેલા ઘઉંને નુકસાન થવાની ચિંતા છે.
બનાસકાંઠા-સુરેન્દ્રનગરમાં વાદળછાયું વાતાવરણ
બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લામાં બે દિવસથી ધૂળની ડમરીઓ સાથે પવનની ગતિ તેજ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ. કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો. આ ઉપરાંત સાબરકાંઠાના ઇડરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ત્યારે વરસાદ પડતા ખેડૂતોને પાકમાં નુકસાની થવાનો ડર છે. ખેડૂતોએ સંગ્રહ કરાયેલા ઘઉંને નુકસાન થવાની ચિંતા છે.
ગીર સોમનાથ ના વાતાવરણ મા અચાનક આવ્યો પલટો
ગીર વિસ્તારમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા લોકોને ભારે તાપ અને બફારામાંથી રાહત મળી છે. છેલ્લા બે દિવસથી ગીરના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો બીજી તરફ સમુદ્રમાં પણ ફેરફર જોવા મળી રહ્યો છે. શાંત દેખાતો ગીરનો દરિયો હાલ કરન્ટમાં છે. દરિયામાં સામાન્ય પવન ફૂંકાય રહ્યો છે તો મોજાઓ ઉછળી રહ્યા છે જેને લઇને માછીમારો પણ ચિંતિત બન્યા છે.
ઉલ્લેખનિય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી 24 કલાક વાતાવરણ વાદળછાયું રહેવાની સાથે કમોસમીનો કહેર જોવા મળશે તેવી શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે.