મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા 'સ્વચ્છ સાબરમતી અભિયાન' હેઠળ આજથી પાંચ દિવસ સુધી નદીની લોકભાગીદારીથી સફાઇ હાથ ધરાઇ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધી આશ્રમ પાસે આજે સવારે સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તંત્ર દ્વારા ચાર તબક્કામાં સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું આયોજન હાથ ધરાયું છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા આજે સવારે ટાગોર હોલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તંત્રના 'સ્વચ્છ સાબરમતી અભિયાન' ઉપરાંત મિશન મિલિયન ટ્રી વૃક્ષારોપણ અભિયાન અને જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમનો આરંભ કરાયો હતો. ટાગોર હોલના કાર્યક્રમમાં રાજય સરકારના પ્રધાનો, આરસી ફળદુ, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા તેમજ સ્વર્ણિમ ગુજરાત પ૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે. જાડેજા, સંસદ સભ્યો, ધારાસભ્યો, કમિશનર વિજય નહેરા, મેયર બીજલબહેન પટેલ સહિતના મહાનુભાવો હાજર હતા. ત્યારબાદ 'સ્વચ્છ સાબરમતી અભિયાન' હેઠળ સુભાષબ્રિજ અને દધીચિ બ્રિજ વચ્ચે સાબરમતી આશ્રમના ઘાટ પાસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 'સ્વચ્છ સાબરમતી અભિયાન'નો પ્રારંભ કરાયો હતો.
આવતી કાલે સુભાષબ્રિજથી દધીચિબ્રિજ, ૭મીએ દધીચિબ્રિજથી ગાંધીબ્રિજ, ૮મીએ ગાંધીબ્રિજથી એલિસબ્રિજ અને ૯મીએ એલિસબ્રિજથી આંબેડકરબ્રિજ વચ્ચે સફાઇ અભિયાન હાથ ધરાશે. આ ઉપરાંત આજના વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મ્યુનિસિપલ કોર્પો.ના સત્તાવાળા દ્વારા મિલિયન ટ્રી અભિયાનની પણ શરૂઆત કરાઇ છે. જે અંતર્ગત આગામી ૧પ જૂન સુધી વૃક્ષારોપણ માટે નોંધણી કરાશે.
જ્યારે શહેરને સ્વચ્છ સુંદર અને ટ્રાફિકમાં શિસ્તબદ્ધ બનાવવા માટે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમનું ગઠન કરાયું છે. આ ટીમ દ્વારા આજથી પ૦ જેટલી ઇ-રિક્ષા દ્વારા શહેરના તમામ ૪૮ વોર્ડમાં ગમે ત્યાં કચરો ફેંકનાર, જાહેરમાં થૂંકનાર, પેશાબ કરનાર કે ગંદકી કરનાર રસ્તા પર હંગામી દબાણ કરનાર, ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહનને આડેધડ પાર્કિંગ કરનાર તેમજ દીવાલ પર ગેરકાયદે પોસ્ટર લગાવી સુંદરતાને જોખમનાર ઇસમો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરાશે.
દંડ ન ભરનાર વ્યક્તિને સક્ષમ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાશે. આ ટીમમાં પોલીસ વિભાગના બે જવાન પણ કુલ પાંચ સભ્યોની ટીમમાં જોડાશે. જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા શહેરમાં સવારે ૭ થી ૧૧ અને સાંજે પ થી ૮ એમ બે તબક્કામાં ઇ-રિક્ષામાં ફરી શહેરને અસ્વચ્છ રાખનાર ઇસમો સામે દંડનીય કાર્યવાહી કરશે.
દરમ્યાન ગાંધી આશ્રમના મુખ્ય સ્થળે કોર્પોરેટરની એન્ટ્રીને લઇને પોલીસ દ્વારા પ્રવેશ કરતા રોકવામાં આવતા વિવાદ ઊઠ્યો છે તેમજ પીવાનાં પાણીની પૂરતી વ્યવસ્થા ન કરાઇ હોવાની ફરિયાદ ઊઠી છે.