રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યના 1 હજાર 623 કેન્દ્રો પર કુલ 16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા
16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનો આજથી 14 માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14થી 25 માર્ચ સુધી ચાલશે.
1623 કેન્દ્રો પર 16.49 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજે રાજ્યના 1 હજાર 623 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના કુલ 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સાથે જ જેલમાંથી ધોરણ 10ના 101 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો ધોરણ 12ના 56 વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપશે.
પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ
10 અને 12 બોર્ડ પરીક્ષાની તમામ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે. નોંધનીય છે કે રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, જેમાં સૌથી વધુ 1 લાખ 91 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લાના આપશે. આ પરીક્ષા માટે ફુલપુફ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સાથે જ ગેરરીતિ રોકવા પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ પણ કરાયા છે. CCTVથી પરીક્ષા કેન્દ્રનું સતત મોનીટરીંગ કરાશે, જેના માટે વિશેષ કમિટીની રચના કરાઈ છે.
56 મેડિકલ ટીમો તૈનાત
સાથે જ આ વખતે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત બગડે તો એ માટે 56 મેડિકલ ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. સેંન્સિટિવ 66 સેન્ટર પર પેરા મિલિટ્રી ફોર્સ રાખવામાં આવી છે.
આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાશે
બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન પ્રમાણે તમામ શાળાની આસપાસના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો ફરજિયાત પણે બંધ રાખવાના રહેશે. તેમજ આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવશે.
મોબાઈલ પર પણ પ્રતિબંધ
વિદ્યાર્થીઓ, સુપરવાઈઝર કે શાળાનો સ્ટાફ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈ જઈ શકશે નહી. આ પરીક્ષા કેન્દ્રમાં હોલ ટિકિટ સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, બેગ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
બોર્ડની પરીક્ષા પહેલા દૂર કરો તમામ કન્ફ્યુઝન
આજથી શરૂ થતી આ પરીક્ષાને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના મનમાં ઓરિજિનલ હોલ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું?, પરીક્ષા દરમિયાન મોબાઇલ ક્યાં રાખવા?, ચાલુ પરીક્ષાએ પાણી પીવા કે વોશરૂમ જવા દેશે કે કેમ?, જો પેપર વહેલું લખાઈ જાય તો વહેલા ઘેર જવા દેશે? આવા ઘણા પ્રશ્નો અને મૂંઝવણ હશે એવામાં આવે અમે તમારા દરેક મુંઝવણ દૂર કરવા જઈ રહ્યા છીએ.
- ક્લાસરૂમની અંદર કઈ વસ્તુ લઈ જવા દે એ વિશે વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્ન છે તો જણાવી દઈએ કે ક્લાસરૂમની અંદર લખવા માટેનું સાહિત્ય જેમ કે પેન, પેન્સિલ, રબર સહિતની સ્ટેશનરી આઈટમો, હોલ ટિકિટ, સાદી ઘડિયાળ, પાણીની બોટલ, રૂમાલ, પાકીટ લઇ જઈ શકાય છે.
- આ સાથે જ ડિજિટલ ઘડિયાળ કે બ્લૂ ટૂથ સાથે કનેક્ટ હોય એવા કોઇપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લાવવાની મનાઈ છે.
-વિદ્યાર્થીને અંદર મોબાઈલ લઈ જવા નહીં દેવામાં આવે, આ સાથે જ મોબાઈલ સાથે રાખવાની કે સ્કૂલમાં મૂકવાની કોઈ સુવિધા નથી.
-ઓરિજિનલ હોલ ટિકિટ ખોવાઈ જાય તો એવી સ્થિતિમાં હોલ ટિકિટની ઝેરોક્સમાં શાળા દ્વારા સહી-સિક્કા કરી પ્રમાણિત કરી આપએ છે. હોલ ટિકિટના અભાવે વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત નહીં રહે.
- મહત્વનું છે પરીક્ષા સમયે ટાઈમ કેવી રીતે જાણવો એ માટે આ વાત જાણી લો કે લાંબો બેલ વાગે એટલે પરીક્ષા શરૂ અને દર અડધા કલાકે બેલ વગાડવામાં આવે છે. આ સાથે જ છેલ્લે 10 મિનિટની વાર હશે ત્યારે બેલ વાગશે.
- બોર્ડનું પેપર ભલે વહેલું લખાઈ જાય પણ 3 કલાક કરતાં વહેલું પેપર પૂરું થાય તો વિદ્યાર્થીને વહેલું નહીં નીકળવા દેવામાં આવે.
- કોઈ વખત પેપર લખતા સમયે ભૂલ થાય તેતો વિદ્યાર્થીએ માત્ર આડી લાઈન કરવી. જેથી પેપર ચેક કરનાર તે લાઈનને રદ ગણીને બાકીના પ્રશ્ન તપાસે. તેના માર્ક કપાતા નથી.
- પેપરમાં આપવામાં આવેલ ક્રમમાં જ જવાબ લખવા જોઈએ.
- ચાલુ પરીક્ષાએ પાણી પીવાની છૂટ હોય છે અને વૉશરૂમ જવા માટે ખંડ નિરીક્ષકની રજા લઈને જવા દેવામાં આવે છે.