સુરતમાં ચૂંટણી ટાણે સરથાણાના યોગીચોક બાદ હવે લિંબાયતમાં પણ ભાજપ અને AAPના કાર્યકરો સામસામે આવી જતા ઘટનાસ્થળે સૂત્રોચ્ચારના દ્રશ્યો સર્જાયા.
યોગીચોક બાદ હવે લિંબાયતમાં ભાજપ-AAPના કાર્યકરો સામસામે
બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા કર્યા હતા સૂત્રોચ્ચાર
બે પક્ષો સામસામે આવી જતા અંતે પોલીસે સ્થિતિ થાળે પાડી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દરેક પક્ષો દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસારને લઇને ઠેર-ઠેર જાહેર સભાઓ અને રેલીઓ નીકાળવામાં આવી રહી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જંગી જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે સુરતના લિંબાયતમાં એકાએક ભાજપ અને AAPના કાર્યકરો સામસામે આવી ગયા હતા.
લિંબાયતમાં ભાજપ-AAPના કાર્યકરો આવી ગયા હતા સામસામે
લિંબાયતમાં AAPની જાહેરસભા ચાલી રહી હતી એ દરમ્યાન બીજી તરફથી ભાજપની રેલી નીકળી. ત્યારે બંને પક્ષના કાર્યકરો થોડી વાર માટે સામસામે આવી ગયા હતા. આથી બંને પક્ષના કાર્યકરોએ સામસામે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે બંને પક્ષો સામસામે આવી જતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તાત્કાલિક ધોરણે પોલીસે સમગ્ર સ્થિતિ સંભાળી લીધી હતી.
અગાઉ સરથાણાના યોગીચોકમાં પણ ઘર્ષણ થયું હતું
તો બીજી બાજુ એક દિવસ અગાઉ સુરતના સરથાણાના યોગીચોકમાં ઘર્ષણની પણ એક ઘટના સામે આવી હતી. જેમાં AAP અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા મોટી બબાલ થઇ હતી. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને કારમાં તોડફોડ કરી હતી.
જોકે, આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સાથે CRPFની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પથ્થરમારાની આ ઘટનામાં કેટલાંક કાર્યકર્તાઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી હતી. જોકે આ ઘટના બાદ યોગીચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હજુ વધારે તપાસ હાથ ધરી રહી છે.