ગુજરાત કોંગ્રેસમાં અમિત ચાવડા સામે નારાજગી દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે એક પછી એક નેતાઓ બળવો કરીને સામે આવી રહ્યા છે. અમિત ચાવડાના અક્કડ વલણના કારણે નેતાઓ પક્ષથી નારાજ છે અને આ પહેલા પણ અનેક અહેવાલો આ પ્રકારના સામે આવ્યા હતા.
આ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ પક્ષ છોડી ચુક્યા છે. ગઈ કાલે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબહેન પટેલ પણ કોંગ્રેસ છોડી ગયા છે. ત્યારે હવે કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષમાં આવી સ્થિતિના કારણે તેઓ હેરાન છે.
ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ નેતાગીરી સામે ઉકળતો ચરૂ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે ગમે તે સમયે બળવો થઇ શકે છે. કાર્યકર્તાઓ પાર્ટીના આંતરિક વિખવાદથી હેરાન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમિત ચાવડાની જોહુકમીથી કેટલાક ધારાસભ્યો પણ નારાજ છે. આશાબેન પટેલે કિર્તીસિંહ ઝાલાની જોહુકમીના આક્ષેપ કર્યા હતા. કિર્તીસિંહ ઝાલા અમિત ચાવડાની નજીકના માનવામાં આવે છે. 8 જેટલા ધારાસભ્યોએ નારાજગીને લઇને ગુપ્ત બેઠક કરી હતી.
અગાઉ પ્રભારી સાતવ પણ અમદાવાદના MLA સાથે ચર્ચા કરી ચૂક્યા છે. ચાવડાના પ્રમુખ બન્યા બાદ મોટા ગજાના નેતા છોડી પાર્ટી ચૂક્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ પ્રદેશ નેતાગીરીથી કંટાળી પાર્ટી છોડી ચૂક્યા છે. કુંવરજી બાવળિયા પણ પ્રદેશ નેતાગીરી દ્વારા અવગણનાને કારણે પાર્ટી છોડી હતી. ઊંઝાના પૂર્વ MLA આશાબેન પટેલે પણ પ્રદેશ નેતાગીરી સામે પ્રશ્નો કર્યા હતા.