દેવભૂમિ દ્વારકાઃ કોરડામાં આવેલી પ્રાથમિક શાળાને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ આપતા જ તેને ગામના લોકો દ્વારા વિરોધ કર્યો હતો. સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય રાજકીય લોકોના ઈશારે થયો હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે. એક તરફ સરકારી શાળાઓમાં ગરીબ બાળકો ભણતર લે તે માટે કરોડોની જાહેરાત કરાય છે. ત્યારે આ રીતના કિસ્સાઓ સામે આવતા જ સરકારના દાવાઓ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષણને વેગ મળે તે હેતુથી સરકાર મોટી મોટી જાહેરાતો કરી રહી છે. દરેક બાળકને શિક્ષણનો હક મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ દ્વારાકાના એક અંતરિયાળ ગામ કોરડામાં આવેલી શાળાને શિક્ષણાધિકારીએ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આ આદેશ આપતા જ સ્કૂલમાં અભ્યાસ કરતા 15 બાળકોના ભવિષ્ય પર અસર પડી છે. 15 બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. હાલ આ તમામ બાળકોને વાડી શાળામાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પરંતુ આ બાળકોના વાલી અત્યંત ગરીબ હોવાથી અન્ય કોઈ શાળામાં બાળકોને ભણવા મોકલે તે તેમને પોષય તેમ નથી. કારણે કે તેઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન કરતા હોય છે. તે પોતાના બાળકોને અન્ય ગામમાં લેવા મુકવા જાય કે પછી પોતાના અને ઘરના લોકોના ખોરાકની ચિંતા કરીને મજૂરી કરવા જાય. હા આ 15 બાળકો અને તેમના વાલઓ તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે શાળાને બંધ કરવામાં ન આવે...
ખરે એકાએક બંધ કરવાનો નિર્ણય લેવાયો કેમ તેના મૂળ સુધી જવાની કોશિશ કરી હતી. જેમા સ્કૂલના સંચાલક અને ગામના સરપંચને સ્કૂલના ઓરડા બાબતે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે શાળાના સંચાલકને વાત કરતા તેમને કહ્યું કે આ ગામમાં 600ની વસ્તની છે. આ શાળામાં 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં ત્રણ રૂમ આવેલા છે. ત્રણ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. ગામના સરપંચના પતિ ધરણાતભાઇ ચાવડાએ અહીં માધ્યમિક શાળા માટે એક રૂમની માગ કરી હતી. સંખ્યા વધતા બીજા રૂમની માગ કરતા મહિલા શિક્ષિકા સાથે તેમની બોલાચાલી થઈ હતી. ધરણાતભાઈ ધારાસભ્ય પબૂભા માણેકના પી.એ.તરીકેની ઓળખ આપી સ્કૂલ બંધ કરવાની ધમકી આપી હોવાનું શાળા સંચાલક આક્ષેપ કરી રહ્યા છે.
આ સ્કુલને બંધ કરી દેવાશે તો 15 બાળકોમાંથી અનેક બાળકો કદાચ બીજી સ્કૂલે જવાને બદલે શિક્ષણ છોડી દેશે. વિવાદનું સાચુ કારણ હકીકતમાં ઓરડાની અછતના લીધે વિવાદ ઉભો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. જો તંત્ર દ્વારા આ સ્કુલ બંધ કરવાને બદલે અહીં રૂમ વધારે ફાળવણી કરી દેતો આ બાળકોનું હિત જળવાઈ રહેશે. બંને શાળાના છોકરાઓ શાંતિ પૂર્ણ અભ્યાસ કરી શકશે. પરંતુ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા દ્વારકાના કોરાડા ગામે પ્રાથમિક શાળા બંધ કરવાનો આદેશ આપી દેતા સ્કુલના બાળકો વાલીઓ અને શિક્ષકો રોષે ભરાયા હતા.
કોરાડા ગામ દ્વારકાથી દસ કિમી દૂર આવેલું છે. સરકારી શાળા બંધ કરવાના આદેશથી તમામ બાળકોના ભણતર પર અસર થશે તેવું તેમના શિક્ષક કહી રહ્યા છે. તેમ છતા તંત્ર કોના ઈશારે આ રીતના આદેશ આપી રહ્યું છે. તંત્ર દ્વારા કેમ રૂમ વધારવાના બદલે પ્રાથમિક શાળા બંધ કરવાનો આદેશ કેમ આપવામાં આવ્યો. એક તરફ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના નારા આપવામાં આવે છે. ત્યારે વગદાર માણસ પોતાની વગ સાબિત કરવા કંઈક બતાવવાની વૃતિથી 15 બાળકોને અભ્યાસ સાથે ચેડાં કેમ કરી રહ્યો છે. સરકારી તંત્ર આવા રાજકીય લોકોનો હાથો કેમ બની ગરીબો સાથે અન્યાય કરે છે. તેવા અનેક સવાલો ઉભા થયા છે.