વડોદરાના દશરથ ગામે ચૂંટણીની અદાવતમાં મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે.
વાઘોડિયા બેઠકના બે અપક્ષ ઉમેદવારોના સમર્થકો વચ્ચે બબાલ
મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો વચ્ચે અથડામણ
અથડામણમાં અનેક લોકોને પહોંચી ઈજા
બે જૂથો દ્વારા સામ સામે નોંધાઇ ફરિયાદ
વડોદરાના જેસીંગપૂરા બાદ હવે દશરથ ગામથી જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. દશરથ ગામે ચૂંટણીની અદાવતમાં મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો સામ સામે આવી જતા મામલો ગરમાયો હતો. દશરથ ગામમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે ટીખળ થતા મામલો બિચક્યો હતો. વાઘોડિયા બેઠકના બે અપક્ષ ઉમેદવારોના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં અનેક લોકોને પહોંચી ઈજા છે. છાણી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પહેલા જેસીંગપૂરા ગામે થઈ હતી અથડામણ
વડોદરા જિલ્લાની 5 બેઠકોમાંથી 4 પર ભાજપે જીત મેળવી છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ-કોંગ્રેસ-બળવાખોરને ઘર ભેગા કર્યા હતા. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. જ્યારે મધુ શ્રીવાસ્તવ પણ હારી ગયા હતા. વાઘોડિયા બેઠક પર ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીતના સમાચાર મળતા જ પરિણામના દિવસે તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન વડોદરાના જેસીંગપૂરા ગામ વિજય સરઘસમાં ફટાકડા ફોડવા બાબતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના સર્મથકો સામ-સામે આવી ગયા હતા.
પોલીસે ગોઠવી દીધો ચુસ્ત બંદોબસ્ત
શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી જતાં પોલીસની ટીમો દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક જેસીંગપૂરા ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધી હતો. આ મામલે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના જૂથો દ્વારા સામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બંને જૂથોમાંથી કુલ 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા
આપને જણાવી દઈએ કે, ભાજપે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ધમેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. જેના પગલે મતો વહેંચાયા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63899 મતો મળ્યા હતા.