નવસારીમાં ગેરકાયદેસર મંદિર તોડવાનો મુદ્દો વિવાદિત બન્યો હતો. જેમાં સોસાયટીના 1100 જેટલા લોકો દ્વારા કમલમ પહોંચી રાજીનામાં આપવામાં આવ્યા હતા.
નવસારીમાંવિવાદીત જગ્યામાં મંદિર તોડી પાડવા મામલો
લોકોએ કમલમ પહોંચી આપ્યા રાજીનામાં
કેન્ડલ માર્ચ લોકોએ યોજી કર્યો વિરોધ
નવસારીમાં સર્વોદયનગરમાં વિવાદીત જગ્યા પર મંદિર તોડી પાડવા મામલે સોસાયટીના 1000થી વધુ લોકોએ પ્રાથમિક સભાપદેથી રાજીનામું આપતા ભાજપમાં હડકંપ મચ્યો છે. થોડા દિવસ અગાઉ નવસારીમાં જમાલપુરમાં આવેલા સર્વોદય નગરમાં કોર્ટના આદેશ મુજબ વિવાદિત જગ્યાને હટાવવા માટે પાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સર્વોદય નગરમાં પહોંચ્યો હતો. જેમાં સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા.
1100 લોકોના રાજીનામાંના પગલે ભાજપમાં હડકંપ
નવસારીના સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર મંદિર તોડવાનો મુદ્દો વિવાદિત બન્યો હતો. સોસાયટીની મહિલાઓ અને પુરુષો મળી 1100 જેટલા લોકો દ્વારા કમલમ પહોંચી રાજીનામાં આપવામાં આવ્યા હતા. નવસારીમાં નુડા દ્વારા મંદિર તોડી પોલીસ દ્વારા મહિલાઓ પર દમન કરવાના મુદ્દે આક્રોશના પગલે રાજીનામાં અપાયા હોવાનું સામે આવ્યું છે. 1100 લોકોના રાજીનામાંના પગલે ભાજપમાં હડકંપ મચ્યો છે. એક સાથે મોટી સંખ્યામાં રાજીનામાં પડતા ભાજપના ધારાસભ્ય અને ભાજપ સંગઠન મૂંઝવણમાં મુકાયું છે. મહત્વનું છે કે નવસારી જિલ્લા ભાજપ સંગઠન આગામી સમયમાં પ્રજાની સાથે રહીને બનતી મદદ કરશે તેવી હૈયા ધરપત પણ આપી હતી.આ સમગ્ર બાબતે જિલ્લા તંત્ર, નુડા અને પ્રજાની વચ્ચે ભાજપ સંગઠને પીસાવા સમાન દ્રશ્યો કમલમ ખાતે સર્જાયા હતા.
સર્વોદય સોસાયટીથી નવસારી સર્કિટ સુધી રેલી યોજી
નવસારીની સર્વોદય સોસાયટી મંદિર તોડવાનો મામલો ગરમાયો છે. તેવામાં મંદિર તોડવાના વિરોધમાં લોકોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ ઠાલવ્યો હતો. ગેરકાયદેસર મંદિર તોડવા જતા પોલીસ-સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં મહિલાઓએ વિવાદિત જગ્યામાં બેસી રામધૂન બોલાવી હતી અને પોલીસને અંદર આવતી અટકાવી હતી. જેને લઈ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું.જેમાં મંદિરને તોડતા સમયે સ્થાનિકોએ રસ્તો રોકતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તેવામાં પોલીસ-તંત્રના દમનને લઈ સોસાયટીના લોકોએ રજૂઆત કરી હતી. લોકોએ સર્વોદય સોસાયટીથી નવસારી સર્કિટ સુધી રેલી યોજી વિરોધ વ્યકત કર્યો હતો.