JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. NSUI દ્વારા પાલડીમાં ABVP કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ દરમિયાન ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુંહતું. જેમાં ABVP-NSUIના કેટલાક કાર્યકર્તાઓને ગંભીર ઈજા પહોંચી છે. પાલડી ABVP કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના આક્ષેપો ખોટા હોવાનો ભાજપે દાવો કર્યો છે. આ મામલે પહેલ કોણે કરી એને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
આ કોંગ્રેસનું ષડયંત્રઃ ભાજપ
ભાજપ, પોલીસ અને ABVPએ આયોજન બદ્વ હુમલોઃ કોંગ્રેસ
ગાંધીના ગુજરાતમાં ABVP ખુલ્લેઆમ ધમકી આપે છેઃ હાર્દિક
અમદાવાદમાં પાલડી ABVPના કાર્યાલય પર થયેલી હિંસાના કેસમાં નવો વળાંક આવ્યો છે. NSUIના વિરોધ પહેલા GLS યુનિવર્સિટીમાં ABVPની ગુંડાગીરી સામે આવી છે. GLSમાં NSUIના કાર્યકરોને મારવા ABVPના ગુંડાઓ લાકડી લઈને આવ્યા હતા. ABVPના કાર્યાલય પર વિરોધ કરવા માટે GLSમાં એકઠા થયેલા NSUIના કાર્યકરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ, ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ ABVPના નરેશ દેસાઈ અને દર્શક ઠક્કર સહિતના નેતાઓ GLSમાં NSUIના કાર્યકરોને મારવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ABVPએ કહ્યું, ગુજરાતને JNU નહીં બનવા દઇએ. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.
ABVPની દલીલ
NSUIના કાર્યકરો અમને મારવા આવ્યા હતા. અમે બચાવની ભૂમિકામાં હતા. NSUIના કાર્યકરોએ અમારા પર હુમલો કર્યો હતો. કોઈ હુમલો કરે તો અમે જોઈ થોડા રહીએ. ABVPના કાર્યકરો ક્યારેક હાથ ઉપાડતા નથી.
NSUIની દલીલ
ABVPના કાર્યકરોએ અમારા પર હુમલો કર્યો હતો. અમે શાંતિપ્રિય રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા. પોલીસે ABVPનો સાથ આપ્યો. ઋત્વિજ, પ્રદીપસિંહ વાઘેલાના કહેવાથી અમારા પર લાઠીચાર્જ થયો છે. અમારા પર દંડા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો છે.
આ કોંગ્રેસનું ષડયંત્રઃ ભાજપ
આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ ષડયંત્ર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ ABVPના કાર્યાલય પર જવાની શું હતી જરૂર? કોંગ્રેસ રાહુલ ગાંધીના ખોળે બેસીને કુદકા મારે છે. ગાંધી પરિવાર અને કોંગ્રેસે દેશને નુકશાન કર્યુ છે.
ભાજપ, પોલીસ અને ABVPએ આયોજનબદ્વ હુમલોઃ કોંગ્રેસ
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દેશમાં ગુંડા કલ્ચર ઉભુ કર્યું છે. ભાજપે યુવાઓને સંદેશ આપ્યો છે કે ગુલામ બનીને રહો. આવા દેખાવો પ્રથમવાર થઇ રહ્યો હોય તેવું નથી. અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર દેખાવો થયા છે. ભાજપ, પોલીસ અને ABVPએ આયોજન બદ્વ હુમલો કર્યો છે. પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતી રહી છે. ABVPના કાર્યકર્તાઓ સાથે પોલીસ પણ મારવામાં જોડાઈ. આ ઘટનામાં પોલીસે 307 હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. હાજર પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થાય છે. ગુંડાગીરી કરીને દેશના યુવાઓને ગુલામ નહીં બનાવી શકાય.
ગાંધીના ગુજરાતમાં ABVP ખુલ્લેઆમ ધમકી આપે છેઃ હાર્દિક
અમદાવાદના પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પર થયેલ ઘર્ષણમાં NSUIના કાર્યકરોને ઈજા થઈ છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે, ગાંધીના ગુજરાતમાં ABVP ખુલ્લેઆમ ધમકી આપે છે. પોલીસની હાજરીમાં ABVPના કાર્યકરોએ હુમલો કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ અને NSUI હમેશા શિક્ષણની વાત કરે છે. આજે NSUIના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો થયો હતો. જેમાં નિખીલ સવાણી સહિતના નેતાઓને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે હાર્દિક પટેલ ઈજાગ્રસ્ત નેતાઓને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ન્યાયિક અને તટસ્થ તપાસના આદેશ આપ્યા છે. શહેર પોલીસ કમિશનર પાસે રિપોર્ટ પણ માગ્યો છે. તેમજ ઇજાગ્રસ્ત યુવાનોના તાત્કાલિક નિવેદન લેવા માટે પોલીસને સૂચના આપી છે.