મંગળવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ABVPના કાર્યાલય પર NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે ગુરૂવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ABVPના કાર્યકર્તાઓ પર NSUIના કાર્યકર્તાઓ હુમલો કર્યો હતો. જેમણે આ કૃત્ય કર્યું છે તેમની સામે કાર્યવાહી થશે. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં હિંસક હુમલાઓ કરાઈ રહ્યાં છે. કેન્દ્રના દિલ્હીના નેતૃત્વના ઈશારે આ કાર્યવાહી કરાઈ છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પત્રકાર પરિષદ
NSUI દ્વારા કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી
શાહ આલમમાં પણ પોલીસ પર હુમલો કરાયો હતો
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ NSUI-ABVP ઘર્ષણ મુદ્દે નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે NSUI દ્વારા કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી. ABVPના કાર્યાલય પર હથિયાર વડે હુમલાનું કાવતરૂ NSUIએ ઘડ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, NSUI-ABVP ઘર્ષણ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. CCTV તપાસ અને સ્થળ પર હાજર પોલીસ અધિકારીના નિવેદનના આધારે કાર્યવાહી કરાઇ રહી છે. પોલીસ કમિશનર આ સમગ્ર તપાસ પર નજર રાખશે. પ્રાથમિક તપાસમાં NSUI અને કોંગ્રેસનો હુમલો જણાય છે.
ગાંધીનગરમાં કોંગ્રેસની રેલીમાં પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. શાહ-આલમમાં પણ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સરકાર JNU જેવી ઘટના ન ઘટે તે માટે સતર્ક છે. કોંગ્રેસ દ્વારા હિંસા ફેલાવવાનો અને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ મુક્યો હતો.
LRD મેરિટ વિવાદના મામલે પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર દરેક સમાજના અધિકારો માટે કટિબદ્ધ છે. અમે કોઇપણ સમાજને નુકસાન કરવા માગતા નથી. પરીક્ષાર્થીઓનો અન્યાય નિવારવા માટે પગલાં લઇશું.