એક તરફ ઉનાળા દરમિયાન ખેડૂતો અને ગ્રામજનો માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી હોવાના રાજ્ય સરકાર દાવા કરી રહી છે. ત્યારે ખેડૂત એકતા મંચના અગ્રણી સાગર રબારીએ રાજ્યના અનેક જિલ્લાના ગ્રામજનો પાણી વિહોળા હોવાના આક્ષેપ કર્યા છે.
આ સાથે જ રાજ્યના છેવાડાના ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારતા જોયા હોવાનો દાવો કર્યો છે. સાગર રબારીના આક્ષેપ છે કે રાજ્ય સરકાર જે આંકડા રજૂ કરી રહી છે. તે મૃગજળ સમાન છે. રાજ્ય સરકારે તેમજ નર્મદા નિગમે સાચા આંકડા રાજ્યની પ્રજા સમક્ષ મૂકવા જોઈએ.
ગુજરાતને નર્મદામાંથી મળતા વાર્ષિક 90 લાખ એકર ફૂટમાંથી 60.38 લાખ એકર પાણી મળી ચૂક્યું છે. આટલા પાણીમાં 17.92 લાખ હેકટરને સિંચાઈ મળવી જોઈએ પરંતુ વાસ્તવિકતાએ છે કે અત્યાર સુધી માત્ર 6.40 હેકટર ભાગના ખેતરોને જ સિંચાઈનું પાણી મળ્યું છે.
ખેડૂતોએ સિંચાઈનું પાણી આપ્યું નથી તો વઘારાનું પાણી ક્યાં ગયું તેનો જવાબ રાજ્ય સરકારે આપવો જોઈએ. રાજ્ય સરકાર અને નિગમની મિલિભગતથી નર્મદાનું પાણી ઉદ્યોગપતિઓને પધરાવીને અધિકારીઓ ખિસ્સા ભરી રહ્યા છે.