લોકસભાની ચૂંટણી પહેલા નારાજ પાટીદાર આગેવાનોને મનાવવા અમિત શાહે કવાયત હાથધરી છે. અમિત શાહે પાટીદાર આગેવાનોની નારાજગી દૂર કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. અમિત શાહે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી પટેલ સાથે મુલાકાત કરી હતી.
મળતી માહિતી મુજબ આર.પી પટેલના નિવાસસ્થાને જઈ અમિત શાહે ચર્ચા કરી હતી. મહત્વનું છે કે ટિકિટ વહેંચણીને લઈને પાટીદાર આગેવાનોમાં ભાજપ સામે નારાજગી જોવા મળી હતી.
સી.કે પટેલનું નિવેદન
આ મામલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ સી.કે પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે અમિત શાહે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ખોડલધામ અને ઉમિયાધામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અમિત શાહ, CM, DyCM હાજર રહ્યા હતા.
વધુમાં સી.કે પટેલે કહ્યું કે, પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવાની વાત થઈ. પાટીદાર આંદોલનકારીઓના ક્રાઇમ કેસને લઈને ચર્ચા થઈ. આ મુદ્દે પરિવારના એક સભ્યને નોકરી આપવાની વચન આપ્યુ છે. ટૂંક સમયમાં પાટીદારોની માગણીઓ પૂરી કરવા વચન આપ્યુ છે. બિન અનામત આયોગ અને નિગમનો લાભ વધુ મળશે. પાટીદારો માટે સરકારનો અભિગમ સકારાત્મક છે. ખેડૂતલક્ષી પણ વાતચીત થઈ. બીન અનામત આયોગના બજેટનો પૂરો લાભ લઈ શકાય તે મુદ્દે ચર્ચા થઈ.
DyCM નીતિન પટેલનું નિવેદન
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મામલે DYCM નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને સરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ અપાયો. ગઈકાલે અમિત શાહની મુલાકાત માટે સામેથી સૂચન કરાયુ હતું. આર.પી. પટેલના ઘરે મુલાકાત કરાઈ હતી. પાટીદાર સમાજ નારાજ નથી. પાટીદાર સમાજને આ વખતે વધુ ટિકિટ અપાઇ છે. 26 બેઠકમાં દરેક સમાજને ધ્યાને રાખી ટિકિટ આપવાની હોય છે.