મુસ્લિમ બિરાદરો માટેનો પવિત્ર રમઝાનનો મહિનો શરુ થતા મુસ્લિમોએ દેશભરમાં રોજા પાળવાની શરૂઆત કરી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના દર્દીઓને રોજા પાળીને ઉપવાસ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આરોગ્ય નિષ્ણાતો આ મુદ્દે જણાવે છે કે આમ કરવાથી દર્દીઓને રિકવરીમાં જોખમ ઉભું થઇ શકે છે.
દર્દીઓને આ સ્થિતિમાં રોજા માટે છૂટ આપવી જોખમી: SVPના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની ચેતવણી
દર્દીમાં ડીહાઇડ્રેશન, લો સુગર, ઉલ્ટીઓ વગેરે ગંભીર સમસ્યાઓ આવી શકે છે
મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને માન આપીને આ પગલું લીધું: સિવિલ
પોતાના દર્દીઓ સાથે થતી અવ્યવસ્થાનો વીડિયો સામે આવતા ચર્ચામાં આવેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ દર્દીઓ પવિત્ર રમઝાનનો મહિનો શરુ થતા રોજા પાળીને ઉપવાસ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલનો આમ કરવા પાછળનો વિચાર અને ઈરાદો ખૂબ હશે એ વાતમાં કોઈ બે મત નથી પણ અત્યારે કોરોનાના કારણે પહેલેથી નબળા થઇ ગયેલા દર્દીના શરીર ઉપર રોજાના મુશ્કેલ ઉપવાસ અવળી અસર કરી શકે છે તે મુદ્દે નિષ્ણાતોમાં ચિંતા ઉભી થઇ છે.
હોસ્પિટલે શું વ્યવસ્થા કરી છે?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલના 240 મુસ્લિમ દર્દીઓ માટે સવારે 'સહેરી' માટે બન, બ્રેડ, બટર, ઈંડા, દહીં, ચા, કોફીની વ્યવસ્થા સવારે 3 વાગે કરવામાં આવશે. નોંધનીય છે કે 30 વ્યક્તિઓએ રોજા પાળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. SVPના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે ચેતવણી આપતા કહ્યું હતું કે દર્દીઓને આ સ્થિતિમાં રોજા માટે છૂટ આપવી જોખમી છે. જેમને કોરોનાના કોઈ લક્ષણો નથી તેવા લોકો માટે પણ આ સલાહભર્યું નથી કારણ કે લક્ષણ ન આવનારને પણ કોઈ પણ તબક્કે લક્ષણો આવવાના શરુ થઇ શકે છે.
શેનું જોખમ છે?
ઝાયડસના એક નિષ્ણાત ડોકટરે જણાવ્યું હતું કે આ કઠિન ઉપવાસમાં દિવસ દરમિયાન ખોરાક કે પાણી લઇ શકાતા નથી. આમ થવાથી દર્દીમાં ડીહાઇડ્રેશન, લો સુગર, ઉલ્ટીઓ વગેરે ગંભીર સમસ્યાઓ આવી શકે છે. હોસ્પિટલમાં AC પણ મંજૂર નથી કારણ કે સંક્રમણનો ખતરો રહેલો છે. આમ આટલી ગરમીમાં પાણી વગર રહેવાથી ગંભીર પરિણામો આવી શકે તેમ છે.
મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને માન આપીને આ પગલું લીધું: સિવિલ
સિવિલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે આ મુદ્દે જણાવ્યું હતું કે તેમણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને માન આપીને આ પગલું લીધું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે 90% દર્દીઓ રોજા પાળવા ઇચ્છતા નથી. જેમણે ઈચ્છા વ્યક્ત કરી છે તેઓને લક્ષણો છે કે નહીં તે માટે અમે એક મુસ્લિમ ડોક્ટરને તેમનું ચેકઅપ કરવા માટે મોકલ્યા હતા. તેમનો સેહરી (સવારે 4 વાગ્યા પૂર્વે ખાવાનો સમય) અને ઈફ્તાર (સૂર્યાસ્ત પછી ખાવાનો સમય) પણ અમે નક્કી કરી આપ્યો છે. આ માટે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી દેવાઈ છે.
શહેરના અગ્રણી મુસ્લિમોએ શું પ્રતિક્રિયા આપી?
આ મુદ્દે શહેરના અગ્રણી મુસ્લિમ બિઝનેસમેને તેમના મુસ્લિમ ભાઈનો વિનંતી કરતા નિવેદન આપ્યું હતું કે ઇસ્લામમાં પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિઓ બીમાર હોય અથવા પ્રવાસ કરતા હોય તેઓ રોજા ટાળી શકે છે તો સૌ સમજી વિચારીને નિર્ણય લે અને ડોક્ટરની સલાહ માને. આ ઉપરાંત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક મુસ્લિમ વકીલે પણ લોકોને કહ્યું હતું કે આ સમયે રોજા પાળવાથી આરોગ્ય ઉપર પ્રતિકૂળ અસરો આવી શકે છે. એવું શક્ય છે કે પૂરતા પ્રમાણમાં પાણી, ખોરાક અને દવાઓ ઉપવાસને કારણે શરીરમાં ન જવાથી દર્દીઓનો ક્વોરનટાઈન પિરિયડ વધારવો પડે.