અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ દર્દીઓથી ઉભરાતા હોસ્પિટલના 95% બેડ થયા ફુલ થતાં શહેરમાં ચિંતાનો માહોલ વધ્યો છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો કહેર
અમદાવાદમાં ભયાનક પરિસ્થિતિ
સિવિલ હોસ્પિટલ બહાર 108ની લાંબી લાઇન
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસમાં રાત્રે એક જ કલાકમાં 45 એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને દોડી આવતા કેમ્પસ ફૂલ થઈ ગયું હતું. ડૉ. જે.વી મોદીએ જણાવ્યું હતું કે હાલ 2100 બેડમાંથી 2008 બેડ પર દર્દીઓને રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલની બહાર 108ની લાઈનો લાગી છે. તેમણે કહ્યું હતું કે દર્દીઓ આખા શહેરમાં ફરી ફરીને આખરે છેલ્લે સિવિલમાં જ આવે છે.
બેડ ન મળે ત્યાં સુધી દર્દીઓને 108મા સારવાર આપવી પડે છે
ડો. જે.વી.મોદીએ કહ્યું હતું કે પરિસ્થિતિ હાલ એટલી ગંભીર છે કે હોસ્પિટલમાં અંદર જગ્યા નથી ત્યારે બહાર 108માં જ બેડ ન મળે ત્યાં સુધી સારવાર આપવી પડે છે. હાલમાં મેડિસિટીના 75 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે અને સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સ્થિતિ જોતાં હાલ શહેરમાં કોરોનાનું સંક્ટ વધુ ઘેરાયું હોય તેવું લાગી રહ્યું છે.
મહામારીમાં નાગરિકો સાવચેત રહે
ડૉક્ટરે કહ્યું હતું કે હાલનો માહોલ ખરેખર ચિંતાજનક છે. આવામાં નાગરિકોએ સચેત રહેવાની જરૂર છે કારણ કે હોસ્પિટલો ફૂલ છે અને બેડ મળતાં નથી. લોકોને મારી અપીલ છે કે બિનજરૂરી બહાર જવાનું ટાળે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6021 કેસ નોંધાયા છે અને 2854 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,17981 દર્દીઓ કોરોનામુક્ત થયાં છે. ગઈ કાલે રાજ્યમાં 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ દર્દીઓનો જમાવડો થયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી ગઈ છે. એક એક એમ્બ્યુલન્સ 2થી 3 કલાક સુધી લાંબી લાઈનમાં છે. દર્દીઓએ સારવાર માટે 3 કલાક જેટલી રાહ જોવી પડી હતી. પરિવારજનો અને દર્દીઓ હોસ્પિટલની બહાર જ અટવાયા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે. ઉનાળાના તાપ વચ્ચે લોકો પાણીની પણ માગણી કરી રહ્યા છે.