છેલ્લા કેટલાક દિવસથી પ.બંગાળમાં ડોકટર પર દર્દીનાં સગાં-સંબંધી દ્વારા કરાયેલા હુમલાનો વિવાદ ગાજી રહ્યો છે. આ હુમલાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસીએેશન દ્વારા દેશવ્યાપી પ્રતીક હડતાળનું એલાન કરાયું છે. રાજ્યના ડોકટર પણ આજની હડતાળમાં જોડાયા હોઇ દર્દીઓ હાલાકીમાં મુકાયા છે.
દરમ્યાન શહેરની સિવિલ, સોલા સિવિલ, જીસીએસ, વીએસ, એસવીપી સહિતની સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જુનિયર ડોકટર હડતાળ પર ઊતરતા તંત્રને ઓપીડી સહિતની તમામ સેવાને રાબેતા મુજબની રાખવા દોડધામ કરવી પડી હતી. જોકે સત્તાવાળાઓએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને ઓપીડી સહિતની સેવા યથાવત જાળવી રાખી હોવાનો દાવો કર્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસીએેશન દ્વારા આજે હડતાળનું એલાન કરાતાં તેમાં રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ સહિતનાં શહેરોની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોકટરો જોડાયા છે જેના કારણે રાજ્યભરના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસીએેશન દ્વારા આજે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોકટરો પરના હુમલાને રોકવાની અને ડોકટરોને સલામતી આપવાની ઉગ્ર માગણી એસોસીએેશન દ્વારા કરાઇ હતી. એસોસીએશનના કાર્યાલય પર યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં હાજર સભ્યોએ હાથે-પગે દર્દીઓની જેમ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.
સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં બી.જે. મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર અને ટ્યૂટરને મદદ માટે બોલાવાયા હોઇ હોસ્પિટલની ઓપીડી અને ૪પ ઓપરેશન થિયેટર સહિતની સેવા પૂર્વવત્ જળવાઇ રહી હોવાનો દાવો સિવિલ હોસ્પિટલના સુપ્રિ. ડો.એમ.એમ. પ્રભાકરે કર્યો છે. જ્યારે સોલા સિવિલમાં પ૦૦ ડોકટર હડતાળ પર ઊતર્યા હોઈ આ હોસ્પિટલની તબીબી સેવાને માઠી અસર થઇ છે.
જ્યારે મ્યુનિસિપલ હોસ્પિટલનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.કુલદીપ આર્યાએ પણ મ્યુનિ. હોસ્પિટલોમાં તબીબી સેવાઓમાં સબ સલામત હોવાનો દાવો કર્યો છે. તેઓ કહે છે જુનિયર ડોકટર હડતાળમાં જોડાયા હોવા છતાં સિનિયર ડોકટર સાથેની તંત્રની બેઠક બાદ જે તે કામગીરીની સિનિયર ડોકટરમાં વહેંચણી કરાતા આજે સવારથી વી.એસ. હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલની ઓપીડી ઇમર્જન્સી સહિતની સેવા યથાવત્ રહી છે.
દરમ્યાન મ્યુનિસિપલ સંચાલિત એલ.જી. હોસ્પિટલના નવા સંકુલમાં આજની પ્રતીક હડતાળથી દર્દીઓ ભારે હાલાકીમાં મુકાતાં દર્દીનાં સગાં તેમજ ડોકટરો વચ્ચે રકઝક થઇ હતી. જેના કારણે પોલીસ કાફલો એલ.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જોકે આ અંગે એલ.જી. હોસ્પિટલના આરએમઓ ડો. લક્ષ્મણ તાવિયાડને પૂછતાં તેઓ કહે છે નવા સંકુલમાં કોઇ ઘર્ષણ થયું નથી. પોલીસ કાફલો તો સવારથી હોસ્પિટલમાં સલામતી માટે હાજર રખાયો છે. જોકે એલ.જી. હોસ્પિટલના ૧પ૦ જુનિયર હડતાળમાં જોડાયા છે પરંતુ તેનાથી તબીબી સેવાની કોઇ અસર થઇ નથી.