નાગરિકતા સુધારણા બિલને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને લખ્યું કે, "સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (CAB) દ્વારા મોદી-શાહ સરકાર પૂર્વોતર રાજ્યમાંથી મૂળ પ્રજાને ઉખાડી ફેંકવા માંગે છે. આ પૂર્વોત્તર, તેની જીવનશૈલી અને ભારતના વિચાર ઉપર ગુનાહિત હુમલો છે. હું પૂર્વોત્તરના લોકો સાથે ઊભો છું અને તેમની સેવા માટે તૈયાર બેઠો છું.
રાહુલ ગાંધીએ નાગરિકતા બિલ અંગે આપી પ્રતિક્રિયા
મોદી-શાહ સરકાર પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમે સરકારના એજન્ડા સામે લડીશું
મંગળવારે પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નાગરિકતા સુધારણા બિલ બંધારણ પર હુમલો છે. જે કોઈપણ તેને સમર્થન આપે છે તે આપણા દેશના પાયા પર હુમલો કરી તેને નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
The CAB is a attempt by Modi-Shah Govt to ethnically cleanse the North East. It is a criminal attack on the North East, their way of life and the idea of India.
I stand in solidarity with the people of the North East and am at their service.https://t.co/XLDNAOzRuZ
જ્યારે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો કે, ગઈકાલે રાત્રે લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર થવાની સાથે, દેશમાં કટ્ટરપંથી અને સંકુચિત માનસિકતાવાળા વિરોધના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે ટ્વિટ કર્યું, 'આપણા પૂર્વજોએ આપણી સ્વતંત્રતા માટે પોતાનો જીવ આપી દીધો હતો. તે સ્વતંત્રતામાં સમાનતાનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સામેલ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'આપણું બંધારણ, આપણી નાગરિકતા, એક મજબૂત અને સંયુક્ત ભારતનું સપનું આપણા બધાથી જોડાયેલું છે.' કોંગ્રેસના મહાસચિવએ કહ્યું કે, 'અમે સરકારના એજન્ડા સામે લડીશું જે આપણા બંધારણને ખતમ કરી રહ્યું છે તથા જે આધારે આપણા દેશનો પાયો નખાયો હતો તેને ખોખરો કરી રહ્યાં છે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા આપ્યું આ નિવેદન
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, નાગરિકતા સુધારણા બિલ ભારતની આત્મા પર હુમલો છે. 72 વર્ષ પહેલાં, અંગ્રેજો, સાવરકર અને જિન્નાની વિચારસરણી અને વલણને કારણે ભારત વિભાજિત થયું હતું. એ જ વિચાર સાથે સંકળાયેલા લોકો ફરી એકવાર આપણા મૂળ મૂલ્યોના ભાગલા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પાર્ટીના પ્રવક્તા મનીષ તિવારીએ સંસદ સંકુલમાં પત્રકારોને કહ્યું, આ બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. જો તેને ધ્યાનમાં રાખી શિવસેના રાજ્યસભામાં પોતાનું વલણ બદલશે તો અમે તેનું સ્વાગત કરીશું, દેશની તમામ રાષ્ટ્રવાદી શક્તિઓ પણ તેનું સ્વાગત કરશે.
અસમમાં આ બિલ વિરુદ્ધ રાજ્યવ્યાપી બંધનું એલાન કરાયું હતું
તમને જણાવી દઈએ કે, લોકસભાએ સોમવારે આ બિલ પસાર કરી દીધું છે, જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક હેરાનગતિને લીધે હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના બિન-મુસ્લિમ શરણાર્થીઓ 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવ્યા હતા, તેમને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થી સંઘ અને ડાબેરી-લોકશાહી સંગઠનોએ બિલ વિરુદ્ધ મંગળવારે પૂર્વોત્તરના ઘણાં વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, માર્ગમાં અવરોધ હોવાને કારણે બે મહિનાના બીમાર બાળકનું હોસ્પિટલમાં લઈ જતાં મોત નીપજ્યું હતું. રાજ્યસભામાં આ બિલ રજૂ થયાના એક દિવસ પહેલા અસમમાં આ બિલ વિરુદ્ધ બે વિદ્યાર્થી સંગઠનોના રાજ્યવ્યાપી બંધના એલાન બાદ બ્રહ્મપુત્રા ખીણમાં જનજીવન ઠપ થઈ ગયું હતું.