રાજકારણમાં હંમેશાં પ્રતિસ્પર્ધીને કારમી હાર આપવા માટે લોક લાગણી ઉશ્કેરવાની રમત રમવાની વરવી પરંપરા રહી છે. વિરોધ કરવા માટે જ્યારે પૂરતા અને મજબૂત મુદ્દાઓ ના હોય ત્યારે સત્તારૂઢ પક્ષના નિર્ણયને ખોટો સાબિત કરવા દુષ્પ્રચારનું અમોઘ શસ્ત્ર ઉગાવવામાં આવતું હોય છે. બહુચર્ચિત નાગરિકતા સંશોધન બિલ સાથે પણ આ જ બધું બની રહ્યું છે. વિપક્ષો તેમના વિરોધનું કોઈ પણ કારણ આગળ ધરે પણ તેમની વોટ બેન્કની રાજનીતિ હવે કોઈથી છાની રહી નથી.
ઘણા બુદ્ધિજીવીઓ બિલને બંધારણ વિરોધી બતાવવામાં લાગેલા છે
નાગરિકતા સંશોધન બિલ પર દુનિયાભરના મીડિયામાં ચર્ચા
હિંદુઓ, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો, શીખ અને પારસીઓને ભારતીય નાગરિકત્વ આપવાની વ્યવસ્થા
વિરોધી પક્ષો અને બુદ્ધિજીવીઓનો હલ્લાબોલ
નાગરિકતા સંશોધન બિલ (સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ-2019) અંગે ભરપૂર દુષ્પ્રચાર કરીને જે માહોલ બનાવવામાં આવ્યો છે તેને જોતાં લોકસભા અને રાજ્યસભામાં હંગામો થાય તે નક્કી જ હતું. ફક્ત કોંગ્રેસ અને અન્ય કેટલાક વિરોધી પક્ષો જ એ સાબિત નથી મથી રહ્યા કે આ બિલ બંધારણ વિરોધી છે. ઘણા બુદ્ધિજીવીઓ પણ આ જ ‘મિશન’માં લાગેલા છે. તેમની વાત માની લઈએ તો આ બિલ સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે, પરંતુ તેઓ એ સ્પષ્ટતા કરવાની જરૂર નથી સમજતા કે સમાનતાનો અધિકાર ફક્ત ભારતીય નાગરિકો પર જ લાગુ થઈ શકે છે, અન્ય દેશોના નાગરિકો પર નહીં. આ બિલ દ્વારા ભારત એ નક્કી કરવા જઈ રહ્યું છે કે, આપણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના કયા લોકોને નાગરિકત્વ આપી શકીએ તેમ છીએ?
જે લોકો બિલના વિરોધમાં નથી તેઓ તેનું સમર્થન એટલે નથી કરી રહ્યા કેમ કે તે કથિત રીતે મુસ્લિમ વિરોધી છે
નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા સંસદની અંદર અને બહાર પણ ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચા દેશ અને દુનિયાભરના મીડિયાની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ થઈ રહી છે. દરેક વ્યક્તિ તેના પક્ષમાં કે વિરુદ્ધમાં પોતાનો મત વ્યક્ત કરી રહી છે. ટીકાકારો આ બિલને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે. જે લોકો બિલના વિરોધમાં નથી તેઓ તેનું સમર્થન એટલે નથી કરી રહ્યા કેમ કે તે કથિત રીતે મુસ્લિમ વિરોધી છે. તેઓ બિલનું સમર્થન એ માટે કરી રહ્યા છે કારણ કે તે પાડોશી દેશોના પીડિત લઘુમતીઓની તરફેણમાં છે, જેમને બીજે ક્યાંય પણ આશ્રયસ્થાન મળ્યું નથી.
1947માં ભારતે ધર્મ આધારિત દેશ બનવાનું પસંદ નહોતું કર્યું
1947માં જ્યારે દેશના ધાર્મિક આધાર પર ભાગલા પાડવામાં આવ્યા ત્યારે હિંદુ માન્યતાઓને કારણે ભારતે ધર્મ આધારિત દેશ બનવાનું પસંદ નહોતું કર્યું.
હિંદુ માન્યતાઓ ધર્મનિરપેક્ષતા સાથે સુસંગત છે અને તેમનો કોઈ પણ પંથ કે સંપ્રદાય સાથે ટકરાવ પણ નથી. ભારતીય ઈતિહાસ આવા અનેક દ્રષ્ટાંતોથી ભરેલો છે કે ભારતે વિવિધ પંથોના ધાર્મિક આધાર પર પ્રતાડિત કરાયેલા લોકો માટે કેટલા ઉદારતાથી પોતાના દરવાજા ખોલ્યા હતા. આ પ્રસંગે દેશની પ્રથમ મસ્જિદની વાત પણ કરવી જોઈએ જે કેરળમાં બનાવવામાં આવી હતી. ભારતે કોઈ વિવાદ કે દ્વિધાના કારણે કોઈ પણ ધર્મને પોતાનો રાજ્ય ધર્મ જાહેર કર્યો નહોતો એવું નથી, જ્યારે ભારતથી અલગ થયેલા પાકિસ્તાને ખુદને ઈસ્લામિક દેશ જાહેર કર્યો હતો. તેણે આ કામ ત્યારે કર્યું જ્યારે ત્યાં ઘણી મોટી સંખ્યામાં ધાર્મિક લઘુમતીઓ રહેતા હતા.
શું છે નવો કાયદો
આ વિધેયકમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત હિંદુઓ, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો, શીખ અને પારસીઓને ભારતીય નાગરિકત્વ આપવાની વ્યવસ્થા છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો 31 ડિસેમ્બર,2014 અથવા તે પહેલાં ભારતમાં આવી ગયા છે અને ભારતમાં પાંચ વર્ષ સુધી રહ્યા છે, તેમને ગેરકાયદે પ્રવાસી ગણાશે નહીં. તેમને નાગરિકત્વ મેળવવાનો અધિકાર મળશે.
ઘણા રાજ્યોમાં ભાજપનાં નબળાં પ્રદર્શનથી મોદી સરકાર બેકફૂટ પર આવી ગઈ
એક હકીકત એ પણ છે કે, સતત વધતી મંદી, જીડીપીમાં ઘટાડો અને ઘણા રાજ્યોમાં ભાજપનાં નબળાં પ્રદર્શનથી મોદી સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. આ બિલ દ્વારા ઊતરવામાં આવેલા મજબૂત હિંદુત્વ કાર્ડથી તે ફરીથી ફ્રન્ટફૂટ પર આવી ગઈ છે.આ બિલમાં સૌથી મોટી અવરોધ ઉત્તર-પૂર્વનાં રાજ્યો છે, જ્યાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે, સરકારે આ મુશ્કેલીનો પણ એક હલ શોધી કાઢ્યો છે. ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતા પૂર્વોત્તર ભારતના વિસ્તારોને નાગરિકતા સંશોધન બિલમાંથી છૂટ આપવામાં આવી છે. આ અનુસૂચિમાં આસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.
અંદાજે એક લાખ બિન મુસ્લિમ શરણાર્થીઓ તાત્કાલિક ભારતીય નાગરિકતાની અપેક્ષા રાખીને બેઠા છે
આ ઉપરાંત એ રાજ્યોને પણ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (કેબ)માંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યાં ઈનર લાઈન પરમિટ (આઈએલપી) લાગુ પડે છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ તેના હેઠળ આવે છે અને મણિપુરને તેમાં લાવવાની પ્રક્રિયા જારી છે. સિક્કિમ વિશે થોડી મૂંઝવણ જરૂર છે, પરંતુ તેના કેટલાક રાજકારણીઓનાં નિવેદનોથી લાગે છે કે, તેને પણ કેબમાંથી મુક્તિ આપવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે, અંદાજે એક લાખ બિન મુસ્લિમ શરણાર્થીઓ તાત્કાલિક ભારતીય નાગરિકતાની અપેક્ષા રાખીને બેઠા છે. આ સંખ્યા ભવિષ્યમાં ઘણી વધી પણ શકે છે. વિપક્ષ ઘણા મુદ્દાઓની ચર્ચા કરવાનું ફક્ત એટલા માટે ટાળે છે કે વોટ બેન્કનું રાજકારણ રમવામાં આસાની રહે? આ બિલ મુસ્લિમ વિરોધી હોવાની જે વાત ઉપજાવી કાઢવામાં આવી છે તે કોઈ દૃષ્ટિએ યોગ્ય નથી. એક વાત તમામે યાદ રાખવી જોઈએ કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં કોઈપણ વ્યક્તિ આવીને અહીં વસવાનો કાયમી અધિકાર મેળવી લે.